________________
ડૉન કિવકસોટ! સાન્કો તો એ જાદુઈ નુસખો બનાવવાની રીતે જાણવા મળશે એ આશાએ તરત દોડતો જઈ, એ ચીજો વીશીવાળા પાસે માગવા લાગ્યો. પેલો અફસર પોતે કરેલા ઘાથી પેલાને કેટલું લાગ્યું છે તે જાણવા ઈંતેજાર થઈ ગયો હતો, એટલે તે પણ પાસે આવી સાન્કોને પેલાની ખબર પૂછવા લાગ્યો. પણ સાન્કો તો જાદુઈ નુસખો બનાવવાના એવા ઉત્સાહમાં હતો કે, તેણે એટલું જ કહ્યું કે, આટલી ચીજો મળી જશે તો મારા માલિક એવી જાદુઈ દવા બનાવશે, જેથી તેમના બધા ઘા એકદમ રુઝાઈ જશે. એ સાંભળી એ અફસરે વીશીવાળાને એ ચીજો તાબડતોબ આપી દેવા આગ્રહ કર્યો. - ડૉન કિવકસોટે એ બધું ભેગું કરી, દેવતા ઉપર ઉકાળવા મૂક્યું. બધું બરાબર ઊકળી રહ્યું એટલે તેમણે એ અદભુત ઔષધ ભરી લેવા કંઈ વાસણ માગ્યું. વીશીવાળા પાસે એવું કાંઈ ઔષધપાત્ર ન હોવાથી તેણે માટીની જૂની ભંભલી આપી. ડૉન કિવક્સોટે તેમાં પેલું ઔષધ ભરી લીધું, અને પછી તેના ઉપર હાથ રાખી, જાદુઈ મંત્રો ભણવાનું શરૂ કર્યું. એ જાદુઈ મંત્રો એટલે તેમને આવડતાં ભગવાનનાં થોડાં સ્તોત્રો જ હતાં. વીશીવાળો, પેલો અફસર અને સાન્કો નવાઈ પામી આ બધું જોઈ રહ્યા. વણજારો તો તેનાં ખચ્ચરોની સરભરા માટે કયારની બહાર ચાલ્યો ગયો હતો.
ડૉન કિવક્સોટે હવે પેલા ઔષધનો પ્રથમ પ્રયોગ પોતાની ઉપર જ કરવાનું નક્કી કર્યું. પેલી ભંભલીમાં ભરતાં વધેલી દવામાંથી તે એક ઘૂંટડો ગટગટાવી ગયા; પણ એ દવા પેટમાં પહોંચી પણ નહિ હોય અને તેમને એવી જોરથી ઊલટી થઈ કે જાણે તેમનું હૃદય, કાળજું, અને આંતરડાં – બધું જ બહાર નીકળી આવ્યું ! તેમને ઊલટીની સાથે આખે શરીરે પરસેવો થઈ ગયો તથા ટાઢ ચડી ગઈ; એટલે તેમણે પોતાને ખૂબ ઓઢાડીને ઢબૂરી દેવાનું કહ્યું.
| ડૉન કિવકસોટ એમ ત્રણ કલાક ઘસઘસાટ ઊંડયા. જ્યારે તે જાગ્યા, ત્યારે તેમને શરીરે એવી સુવાણ લાગવા માંડી કે, તેમને ફરીથી પોતાની વિજયયાત્રા આગળ ચલાવવાની ચટપટી લાગી ગઈ; કારણ કે, હવે યોગ્ય જાદુઈ ઔષધ તેમના હાથમાં આવી ગયું હતું.