________________
૨૪૯
તત્ત્વ
તત્ત્વ
D ‘જીવ', ‘અજીવ', ‘પુણ્ય', ‘પાપ', ‘આસ્રવ’, ‘સંવર’, ‘નિર્જરા', ‘બંધ', અને ‘મોક્ષ' એ ભાવો તે ‘તત્ત્વ’ છે. (પૃ. ૫૯૨)
જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ તત્ત્વો છે. અત્રે પુણ્ય, પાપ આસવમાં ગણેલાં છે. (પૃ. ૭૬૬)
D તત્ત્વથી કંટાળું નહીં. (પૃ. ૧૪૨)
તત્ત્વ આરાધતાં લોકનિંદાથી ડરું નહીં. (પૃ. ૧૪૦)
– દુનિયા મતભેદના બંધનથી તત્ત્વ પામી શકી નથી. (પૃ. ૧૬૫)
D વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેન્દ્રિપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. (પૃ. ૧૭૧)
D આપણે ક્યાં તત્ત્વનો વિચાર કરીએ છીએ ? કયાં ઉત્તમ શીલનો વિચાર કરીએ છીએ ? નિયમિત વખત ધર્મમાં કયાં વ્યતીત કરીએ છીએ? ધર્મતીર્થના ઉદય માટે કયાં લક્ષ રાખીએ છીએ ? કયાં દાઝવડે ધર્મતત્ત્વને શોધીએ છીએ ? શ્રાવકકુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઇતી નથી; એને માટે જોઇતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંનાં કંઇ વિશેષ લક્ષણો હોય તેને શ્રાવક માનીએ તો તે યથાયોગ્ય છે. દ્રવ્યાદિક કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જન્મે છે અને તે પાળે છે, તે વાત વખાણવા લાયક છે; પણ તત્ત્વને કોઇક જ જાણે છે; જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધો પણ છે; જાણીને અહંપદ કરનારા પણ છે; પરંતુ જાણીને તત્ત્વના કાંટામાં તોળનારા કોઇક વિરલા જ છે. (પૃ. ૯૭)
· વિવેકથી તત્ત્વને કોઇક જ શોધે છે. (પૃ. ૧૨૬)
D શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠે હોય એવા પુરુષો ઘણા મળી શકે; પરંતુ જેણે થોડાં વચનો પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તત્ત્વને પહોંચી જવું એ કંઇ નાની વાત નથી. કૂદીને દરિયો ઓળંગી જવો છે.
અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે તત્ત્વ અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. આવા અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે. પણ ‘અર્થ' એટલે ‘તત્ત્વ' એ વિષય પર અહીં આગળ કહેવાનું છે. જેઓ નિગ્રંથપ્રવચનમાં આવેલા પવિત્ર વચનો મુખપાઠે કરે છે, તે તેઓના ઉત્સાહબળે સત્ફળ ઉપાર્જન કરે છે; પરંતુ જો તેનો મર્મ પામ્યા હોય તો એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્ભૂત ફળ પામે છે. અભણ પુરુષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ બેના ભેદને જેટલું જાણે છે, તેટલું જ મુખપાઠી અન્ય ગ્રંથ-વિચાર અને નિગ્રંથ–પ્રવચનને ભેદરૂપ માને છે; કારણ તેણે અર્થપૂર્વક નિગ્રંથ વચનામૃતો ધાર્યા નથી; તેમ તે પર યથાર્થ તત્ત્વવિચાર કર્યો નથી. યદિ તત્ત્વવિચાર કરવામાં સમર્થ બુદ્ધિપ્રભાવ જોઇએ છે, તોપણ કંઇ વિચાર કરી શકે; પથ્થર પીગળે નહીં તોપણ પાણીથી પલળે; તેમજ