________________
કર્મ, મોહનીય (ચાલુ)
૧૨૩
અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેનો અચૂક ઉપાય છે. (પૃ. ૫૫૨)
B ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને; અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે ‘મિથ્યાત્વમોહનીય’.
ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં. માટે માર્ગ બીજો હોવો જોઇએ એવો જે ભાવ તે ‘મિશ્રમોહનીય’. ‘આત્મા આ હશે ?’ તેવું જ્ઞાન થાય તે ‘સમ્યક્ત્વમોહનીય’. (પૃ. ૭૦૯)
] બધાં કર્મમાં મુખ્ય, પ્રાધાન્ય એવું મોહનીય છે; જેનું સામર્થ્ય બીજાં કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વધારે છે.
આઠ કર્મમાં ચાર ઘનઘાતી છે. તે ચારમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીયકર્મ સિવાય સાત કર્મ છે, તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજાં નિર્બળ થઇ જાય છે. મોહનીય ખસવાથી બીજાંઓનો પગ ટકી શકતો નથી. (પૃ. ૭૪૩)
મોહનીયકર્મ જે મહા જોરાવર તેમ ભોળું પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી, વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનીયકર્મનો તીવ્ર બંધ હોય છે, તોપણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. (પૃ. ૭૫૮)
મોહનીયકર્મ ઔદયિકભાવે હોય. (પૃ. ૭૮૨)
D ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીયકર્મનું બંધન થાય તો સિત્તેર કોડાકોડી સાગરોપમનું થાય, એમ જિને કહ્યું છે, તેનો હેતુ સ્પષ્ટ છે કે, જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય, પણ એવાં મોહનીયકર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે, તેવાં એક વખતે ઘણાં બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે જ સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બાંધે; પણ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ સૌ એક મોહનીયકર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં; કારણ કે જીવને એટલો અવકાશ નથી. મોહનીયકર્મની એ પ્રકારે સ્થિતિ છે. (પૃ. ૪૧૨)
તેનો (વિનયમાર્ગનો) લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઇ પણ અસદ્ગુરુ પોતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. (પૃ. ૫૩૫) ત્રીસ મહામોહનીયનાં સ્થાનક શ્રી તીર્થંકરે કહ્યાં છે તે સાચાં છે. (પૃ. ૭૯૮)
વક્તા થઇ એક પણ જીવને યથાર્થમાર્ગ પમાડવાથી તીર્થંકરગોત્ર બંધાય છે અને તેથી ઊલ્ટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. (પૃ. ૭૭૧)
અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ચાળીસ કોડાકોડીની, અને મોહનીય(દર્શનમોહનીય)ની સિત્તેર કોડાકોડીની છે. (પૃ. ૭૮૧)
શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઇ તો પછી તે સમયે સમયે પૂર્વઉપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. (પૃ. ૧૯૬)
જ્ઞાનીપુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાધ્યે જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઇ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે. (પૃ. ૪૪૧)