________________
(૧૮)
આનાથી વિપરીત વિચાર કરીએ તો ચિલાતીપુત્ર, અર્જુનમાળી, દૃઢપ્રહારી વગેરે શ્રવણના માધ્યમથી માર્ગાનુસારીની ભૂમિકા નિર્મળ કરી આગળ વધ્યા. ભૂલ સ્વીકારની ભૂમિકાએ ટકી રહેવાથી માષતુષ મુનિ તરી ગયા. ભૂલ સુધારવાની ભૂમિકા વડે આદ્રકુમાર, નંદિષણ, રહનેમિજી વગેરે ભાવચારિત્ર પુનઃ પામી શક્યા. અભિમાન છોડવાની તૈયારી કરતાં જ બાહુબલીજી વીતરાગદશા પામી તરી ગયા.
શ્રવણ વગેરે પ્રત્યેક વિનય સમાધિને મજબૂત રીતે પકડવાથી છેક કેવળજ્ઞાન સુધી જીવને પહોંચાડે છે. દા.ત. ગુરુમુખેથી જગદ્ગુરુના ગુણવર્ણનના શ્રવણથી ૧૫૦૩ તાપસોમાંથી ૫૦૧ને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેશનાના શ્રવણથી અનંતા જીવોને કેવળજ્ઞાન થયેલ છે. ભૂલ સ્વીકારની ભૂમિકાને દૃઢ રીતે પકડવાથી ચંડરુદ્વાચાર્યના શિષ્યને, અઇમુત્તામુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ભૂલ સુધારવાની ભૂમિકાએ દૃઢ રીતે પહોંચવાથી અષાઢાભૂતિ, મૃગાવતીજી વગેરેને કેવળજ્ઞાન થયું. માટે આ ચાર વિનયની વાતો યાદ રાખી તે પ્રમાણે કરવાથી આપણી સાધના આગળ વધતી રહે.
૧૧. સાધકના જીવનનું ઘડતર
૧. સાધકની જરૂરીયાત એવી હોવી જોઇએ કે સામાન્ય સંજોગોમાં પણ મળી રહે.
૨. સાધક એવી કોઇ ક્રિયા ન કરે જેથી સાધન-શરીર પરેશાન કરે. અથવા બીજાને બોજારૂપ થઇ પડે એવી ટેવ ન પાડે.
૩. પોતાની વિશેષ આવશ્યકતા હોય તો પણ ચલાવી લેતા શીખવું પડે.
૪. બીજા માટે ખોટા આલંબનરૂપ ન બની જવાય તેની તકેદારી જરૂરી છે.