________________
लोभद्रुममवष्टभ्य तृष्णावल्लिरुदित्वरी । आयासकुसुमस्फीता, दुःखैरेषा फलेग्रहिः ॥ ४७ ॥
: અર્થ : લોભરૂપી વૃક્ષના સહારે તૃષ્ણારૂપી વેલ ઉપર ચઢે છે. તે પ્રયાસરૂપ પુષ્પોથી વૃદ્ધિ પામે છે અને તેને દુઃખરૂપ ફળો આવે છે.
: વિવેચન : ક્રોધ, માન, અને માયાના અપાયો બતાવ્યા પછી હવે ગ્રંથકાર લોભ-કષાયના અપાયો બતાવે છે. - લોભ એક વૃક્ષ છે. – એ વૃક્ષના સહારે તૃષ્ણાની વેલ ઉપર ચઢે છે. - તેને પ્રયાસ-મહેનતનાં પુષ્પો આવે છે, અને - દુઃખરૂપ ફળો આવે છે.
લોભના કારણે તૃષ્ણા જન્મે છે પછી તૃષ્ણાની વેલને લોભવૃક્ષનો ટેકો મળે છે. તૃષ્ણા વૃદ્ધિ પામતી જાય છે. પછી જીવને એ તૃષ્ણાઓ પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પરિણામે અનેક જાતનાં દુઃખ ઉત્પન્ન થાય છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ શ્લોકનો અર્થ આ રીતે કર્યો છેઃ लोभ महातरु शिर चढी, बडी ज्युं तृष्णावेली, खेदकुसुम विकसित भई, फले दुःख ऋतु मेली.
જ્યાં લોભ અને તૃષ્ણાની રમત મંડાય છે, ત્યાં દુઃખ-અશાન્તિનાં મંડાણ થઈ જ જાય છે. લોભ-કષાય સર્વનાશ કરનાર છે, પછી એ લોભ ભિખારીનો હોય કે લખપતિનો હોય ! ઇતિહાસ એનો સાક્ષી છે. વર્તમાનમાં આંખો ખુલ્લી રાખીને જુઓ. લોભે ધનવાનોને રસ્તે રઝળતા ભિખારી બનાવી દીધા છે. ભિખારીઓને બૂરી રીતે મારી નાખ્યા છે.
લોભ અને તૃષ્ણાનો પરસ્પર સંબંધ છે. લોભ રહેશે ત્યાં સુધી તૃષ્ણા રહેશે. તૃષ્ણા હશે ત્યાં સુધી લોભ રહેવાનો જ. આ બંનેના કારણે ત્રાસ, દુઃખ અને અશાન્તિ રહેવાની. ૪૮ BRARARARARARARA શામ્યશતક