________________
: દર :
પંચસૂત્ર
પામેલા જીવની જેમ, કદિએ સંસાર શરૂ થવાનું કોઈજ કારણ નથી, તેથી સંસાર થાય જ શી રીતે ? વર્તમાન સંસારનું અને શરીર-ઈન્દ્રિય-પ્રાણ વગેરેનું કારણ પૂર્વનાં બાંધેલા કર્મ છે, જેવાં જેવાં પૂર્વકર્મ, તેવું તેવું શરીર વગેરે મળે. માટે શરીરાદિ એની પૂર્વના કર્મને આધીન છે. ત્યારે તે કર્મ વળી શરીર વગેરે સંસારના લીધે બંધાએલા છે. તે શરીરાદિ એની પૂર્વના બાંધેલા કર્મથી મળેલા. તે કર્મ તેથી પૂર્વનાં શરીરદ્વારા, અને તે શરીર પૂર્વના કર્મ દ્વારા ... આ રીતે પૂર્વ પૂર્વકાળનો દેહ અને કર્મનો વિચાર કરતાં સંસાર અને કર્મ-સંયોગોનો પ્રવાહ અનાદિ સિદ્ધ થાય છે. યુક્તિસિદ્ધ આ અનાદિતા ન માનતાં, ‘ક્યારેક શરૂઆત તો થઈ જ હોય ને ?' આવી મનમાની કલ્પના કરવી તે યુક્તિરહિત છે; કેમકે એમ તો તે સૌથી પહેલી આદ્ય શરૂઆતને કારણ વિનાની માનવી પડશે, અને તે ખોટું છે. જગતમાં કારણ વિના કાર્ય બની શકતું જ નથી. કોઈ એક કર્મસંયોગ કે સંસાર, વ્યક્તિગત રીતે ઉત્પન્ન થવાવાળો હોઈ, જરૂર પ્રારંભવાળો છે; છતાં, એની પૂર્વે એનાં કારણ તરીકે બીજો એવો સંસાર અને કર્મ-સંયોગ હતો જ એ અનિવાર્ય છે. એમ પૂર્વે પૂર્વે વિચારતાં સંસાર એ પ્રવાહથી અનાદિનો સિદ્ધ થાય છે. અર્થાત્ સંસાર થવાની ક્રિયા અનાદિથી ચાલુ છે. જેમ કોઈ પણ સમય, ઘડી, વર્ષ વગેરે કાળ ઉત્પન્ન થવાવાળો છે, છતાં આવા કાળનો પ્રવાહ અનાદિથી ચાલુ છે; તેવું સંસાર માટે સમજવું.
આ સંસાર દુઃખરૂપ, દુ:ખફલક અને દુઃખાનુબંધી છે.
(૧) દુઃખરૂપ કહ્યું તે સૂચવે છે કે સંસાર દુઃખવાળો છે એમ નહિ, પરંતુ ખુદ દુ:ખ છે, દુઃખ સ્વરૂપ છે. એમાં દેખાતું વિષય સુખ એ ય દુઃખ છે. સુખાભાસ છે; કેમકે, જેમ ખસ, ધાધર, કે ખરજવામાં ઉપડેલી ચળના દુઃખ પર ખણવાથી તે દુઃખનો ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક સુખાભાસ થાય છે, તેમ પૂર્વે ઉત્પન્ન થયેલા તૃષ્ણાની ચળના દુઃખનો વિષયસંપર્કથી ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક વિષયસુખ ભાસે છે; સુખાભાસ થાય છે. પરંતુ પછી ચળની જેમ ભયંકર નવી તૃષ્ણા ખણજ અને નવાં દુઃખને જગાવનાર બને છે. એટલે, વસ્તુગત્યા સંસારની કોઈ વાત એવી નથી કે જે દુઃખરૂપ ન હોય; અથવા જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, એ જ મહાન દુઃખ છે અને એ જ સંસાર છે.
(૨) વળી સંસાર દુઃખફલક એ રીતે કે સંસાર ભવાન્તરમાં બીજી ગતિમાં જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક વગેરે આપે છે, તેથી ફલરૂપે (પરિણામે) પણ સંસાર દુઃખ આપનારો છે. આનું કારણ એ છે કે પૂર્વ કર્મના હિસાબે અવશ્ય-વેદ્ય એવા આ જન્મજીવન-જરા- મૃત્યુ વગેરે એવી રીતે વિતાવાય છે કે એમાંથી નવો જન્માદિરૂપ સંસાર પાછો દુઃખરૂપ ખડો થાય છે. માટે સંસાર ફળમાં પણ દુઃખ આપનારો છે. તે સંસારનું ફળ દુઃખ પણ,