________________
: ૩ર :
પંચસૂત્ર
ઈન્દ્રિયો ડાકુ છે. મન ચોર છે. નાગણ જેવી કુવાસનાના થોકબંધ હુમલા છે. વિષયોનો દુમન-ઘેરો છે. વિષયની છાયાનો, આગમનનો, એવાનાં સંપર્કનો ભય થવો જોઈએ. જેટલો ભય મોહની સામગ્રી લૂંટાઈ જવામાં થાય છે, તેટલો આત્મહિતની પ્રવૃત્તિ કે વિચારણા લૂંટાઈ જાય તેમાં નથી ! કેવી કારમી દશા ? મુક્તિનું પહેલું પગથિયું મોક્ષરુચિવાળી અવસ્થા છે. જ્યાં સુધી દુન્યવી ભયોથી ભવાભિનંદિતા જીવતી રહે ત્યાં સુધી તે આવે નહિ.
છઠ્ઠો દુર્ગુણ શઠતા - એમાં જીવ વાતે વાતે માયા રાખે; લુચ્ચાઈ પ્રપંચ, દગો, ફટકો, વિશ્વાસઘાત કરે. સ્વભાવથી કપટ કરનારો; કેળવેલી ગુંડાગીરી આદરનારો. નિપ્રયોજન નાની વાતમાં; નકામી બાબતમાં પણ માયા ! સીધી વાત કરે નહિ, સરળતા નહિ. કાંઈ લેવાદેવા નથી; છતાં સ્વભાવથી જ દગો ! ભૂતકાળનો અનંતવારનો અભ્યાસ કારમી માયાનો. માયા જ આવડે. એના લોહીના પરમાણુ જ એવા કે એકલી માયા જ કરે. તેના યોગે કર્મ પણ એવા બાંધે. આ બધા અનંતકાળના અવળા વળ સીધા સવળા કરે નહિ. અવળાં વીંટ્યા તેવા સવળા ઉકેલે નહિ, ઊંધાઈ મૂકી સીધી દિશા પકડે નહિ, એ બધું ભવાભિનંદીપણામાં સુલભ છે. એનાથી બચવું હોય તો અંતરમાં કદાચ માયાનો વિચાર જાગે, પણ એમાં પુરુષાર્થ ન જ ભેળવાય, અર્થાત્ માયાને અમલી ન બનાવાય, પણ તેને ગુંગળાવાય, જેથી એ કારગત ન થાય તો હજી બચાય. છળ પ્રપંચ દગોફટકા કર્યે રાખવા છે, જગતના લાભ કે જગતની વડાઈ લેવા માટે વાતવાતમાં વક્રતા વાપરવી છે, માયા આચરવી છે, ત્યાં મોક્ષની તમન્ના ક્યાં ઉભી રહે ?
માયાનું પાપ જગતમાં બહુ સહેલું, એમાં ઉઘાડા પડીએ છીએ એવું ન દેખાય. પાછું હોશિયારમાં ખપાય, અને માયાથી લાભ થતો દેખાય. આ કાળજુની એની કુટેવને ટાળવા દિલને શુદ્ધ બનાવવું પડે. કદાચિત માયા કરવા મન ઊઠે, પણ હૃદય ના પાડે. “ધ્રુવ આત્માના ગુણ અધુવ જડ ખાતર મારે ગુમાવવા નથી,' એમ હૃદય પોકારે, પછી મન કદાચ માયા કરાવી જાય પણ તે કેવી ? મોળી. ભવાભિનંદીને તો છૂટથી પ્રપંચ, માયા કપટ જોઈએ, જોરદાર જોઈએ, એમાં અફસોસ નહિ. મામુલી તુચ્છ વાત હોય પણ માયા ન છોડે. તુચ્છ માન, આબરૂ, અલ્પ વખાણ, તૃણ જેટલી શાબાશી મેળવવા માટે ય માયા કરતાં સંકોચ ન થાય. ભવાભિનંદીતાને મહાન દુર્ગુણ માયા. જેને સંસાર બહુ ગમે તે માણસ માયા કે જે સંસારની માતા છે, તેને કેમ ન સાચવે ? ખૂબી જુઓ, લોભની રતિને ભવાભિનંદિનું અપલક્ષણ કહ્યું, પણ લોભને નહિ ! જ્યારે શઠતાની રતિને દુર્ગુણ કહેવાની જરૂર ન પડી. પણ શઠતાને જ દુર્ગુણ કહ્યો. એ સૂચવે છે કે ખાલી લોભ તેવા સંસારરસિક નહિ બનાવે, જેવી શંઠતા સંસારરસિક બનાવશે. શઠતા યાને માયા ખતરનાક છે.