________________
પંચસૂત્ર ભૂમિકા
-
નરવીરો ! બહારના કહેવાતા દુશ્મન જોવા કરતાં અંદરના ભયંકર દુશ્મન જુઓ. કષાયોથી આપણો આત્મા અનંત કાળથી સળગી રહ્યો છે. એવા કષાયોની ભયંકર આગ બુઝવો. રાજ્ય-લક્ષ્મી અને માન-પાનના પલ્લે પડી અનંતા આત્મજનને કાં ગુમાવો ? આ મહા મૂલ્યવાન અને અતિ દુર્લભ માનવભવ વિષય- ઘેલછામાં તથા કષાયના આવેશમાં બરબાદ કરી નાખી, જાતને અને બીજાને અનંત ભવસાગરમાં ડૂબાડવા માટે નથી, પરંતુ આંતર શત્રુઓ અને જુના કર્મના બંધન તોડીને અનાદિ અનંત કાળથી ચાલી આવેલી ભવપરંપરાનો કાયમી અંત લાવવા માટે છે ! અનંત જ્ઞાન- સુખાદિયમ શાશ્વત મુક્તિનાં નિજનાં સામ્રાજ્ય લેવા માટે છે. ........ ” ઈત્યાદિ.
આ સમજુતીનું સુખદ પરિણામ એ આવ્યું કે પૂર્વોક્ત પ્રસંગમાં જ્યારે પહેલાં જાતે વિરક્ત બનેલો એ પાછળના ઉપદેશથી કષાય અને ભયંકર હિંસામગ્ન બન્યો તે ખૂનખાર લડાઈની લોહીની નદીઓ વહી ! ત્યારે અહીં જાતે કષાયથી ધમધમતા આવેલા, પણ હવે ઉપદેશથી શાંત અને વિરક્ત બની સંસારત્યાગી સંયમી સાધુ બન્યા ! વળી એ સાંભળીને ભરત દોડતો આવ્યો, અને પશ્ચાત્તાપ કરતો ક્ષમા માગે છે, ને રાજ્ય સ્વતંત્રપણે સુખ ભોગવવા વિનંતિ કરે છે. ! પરંતુ આ તો સાચું સમજીને ખરા ત્યાગી બનેલા છે; તેમને સંસાર સાથે શી નિસ્બત ? એ તો પોતાના ત્યાગ-માર્ગમાં જ ૬ઢ રહી આગળ વધતાં વધતાં ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. પત્યું. લોહીનું એક ટીપું પણ રેડાયું નહિ ! દુશ્મનાવટ વરાળની જેમ ઉડી ગઈ! મૈત્રી અને કરુણાના પૂર વહ્યા ! જેમાં આગળ જઈ અંતે ભરત પણ કેવળજ્ઞાની બન્યા ! સર્વજ્ઞવચનથી આવું સુખદ પરિણામ નીપજ્યુ ! એ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનનો મોક્ષપ્રક્રિયાનો ઉપદેશ આ “પંચસૂત્ર” શાસ્ત્રમાં સંગૃહીત કરાયેલો છે; માટે એ સત્ય અને સુંદર છે. 1. પાંચ સૂત્રનો ક્રમ સહેતુક :- હવે પ્રશ્ન છે કે પાંચ સૂત્રનો ઉપન્યાસ આમ કેમ ? ઉપન્યાસ એટલે સમીપ ન્યાસ, અર્થાત અમુક ક્રમવાળી રચનાની રજુઆત. તો અહીં સૂત્રોનો આ ક્રમ કેમ મૂક્યો ? ઉત્તર એ છે કે આ પાંચ સૂત્રોમાં કહેલા પદાર્થ વસ્તુગત્યા એવી જ રીતે એટલે કે એ જ ક્રમથી પ્રગટ થાય છે. તે આ રીતે કે પાપનો પ્રતિઘાત કર્યા વિના ગુણબીજાધાન થતું નથી, અને ગુણ બીજાધાન થયા વિના વસ્તુત ધર્મગુણ ઉપરના શ્રદ્ધાપરિણામનો અંકુરો ફુટતો નથી; અને તે ન થાય તો સાધુધર્મની પરિભાવના અશક્ય છે. ત્યારે સાધુધર્મની પરિભાવના ન કરેલાને દીક્ષા લેવાની વિધિ આદરવાનો હક્ક નથી. આમ દીક્ષા ન લીધી, તો તેના પાલનનો પ્રયત ક્યાં રહ્યો ? દીક્ષાનું પાલન ન કરે તેને દીક્ષાનું ફળ મોક્ષ ક્યાંથી મળે ? મળે. જ નહિ.