________________
આત્માનો શુદ્ધ આનંદ અને વિજ્ઞાનમય નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ જન્મમૃત્યુને ઉત્પન્ન કરનારા બધા સંસ્કારોને બાળી નાખે છે. આસક્તિ એ જ મૃત્યુ છે. તમે તમને આનંદ આપતાં તમારા શરીર, કર્મ, સ્ત્રી, પુત્ર, સંપત્તિ, ઘર, સ્થાન અને વિવિધ વસ્તુઓમાં આસક્ત છો. જ્યાં જ્યાં આસક્તિ હોય ત્યાં ક્રોધ, ભય ને વાસના જોવામાં આવશે. આસક્તિથી જ બંધન ઉત્પન્ન થાય છે. જો તમારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો હોય તો બધા જ પ્રકારની આસક્તિને તજી દેવી જ પડશે.
જે શરીર સાથે જીવાત્મા આટલો બધો એકરૂપ થઈ ગયો છે તેનાથી અલગ થઈ જવું એ આસક્તિ ત્યાગનું પ્રથમ પગથિયું છે. પોતાના ખરા સ્વરૂપ માટે સંસ્કૃત શબ્દ ‘‘આત્મા” છે તે અત્=સતત જવું ધાતુમાંથી બન્યો છે. આમ, પોતાનું સાચું તાત્ત્વિક સ્વરૂપ જે સચ્ચિદાનંદરૂપ છે તેને પ્રાપ્ત કરવાને માટે જે સતત વિવિધ નામરૂપો દ્વારા સંસારમાં ભ્રમણ કરી ઉત્ક્રાંતિ પામે છે તે આત્મા.
૧૩. શુદ્ધ ચિન્મય આનંદ ને સંકલ્પમુક્તિ
સતત, તીવ્ર ને ગાઢ યોગ કે જ્ઞાનસાધના દ્વારા તમે તદ્દન સંકલ્પ મુક્ત થઈ શકો. નર્યાં ભાષણ કરનારા અનેક વક્તાઓ કરતાં તદ્દન સંકલ્પહીન યોગી જગતનું વિશેષ કલ્યાણ કરી શકે. સામાન્ય લોકોની સમજમાં આ વાત આવતી નથી. જ્યારે તમે નિર્વિકલ્પ સ્થિતિએ પહોંચો ત્યારે તમારી સાત્ત્વિક શક્તિ જગતના પ્રત્યેક પરમાણુને તરબોળ કરી શુદ્ધ બનાવે છે, જેથી સ્વાભાવિક રીતે બધાની ઉન્નતિ થાય છે.
જડભરત ને વામદેવ જેવા નિર્વિકલ્પ જ્ઞાનીઓને અત્યારે પણ બધા યાદ કરે છે. તેઓએ કદી પુસ્તકો લખ્યાં ન હતાં તેમજ શિષ્યો કર્યા ન હતા. છતાં આ જ્ઞાની પુરુષોની લોકોના મન પર પ્રચંડ અસર હતી.
જો તમે વિષયવાસના અને તેનાથી ખરડાયેલી અનૈતિક મનોદશાથી મુક્ત થઈ શકો તો તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો. જ્ઞાનપ્રાપ્તિ માટે શરીરને વિષય પદાર્થો તેમ જ મન અને અધમ વિચારોને એકબીજાથી અલગ કરવાની જરૂર છે. ત્યારે જ દિવ્ય પ્રકાશ ઊતરી શકે. તેમ વાઈસરોયના સ્વાગત માટે બંગલાને જાળાંઝાંખરાં વાળીઝૂડી સાફ કરવામાં આવે છે ને બગીચામાંનું ઘાસ નીંદી કાઢવામાં આવે છે, એવી જ રીતે વાઈસરોયના પણ વાઈસરોય એવા પવિત્ર બ્રહ્મનું સ્વાગત કરવા માટે
૮૧