________________
તેના મનમાં અડ્ડો જમાવ્યો હોય છે. અરે, મનુષ્ય તેનો ગુલામ જ બની ગયો હોય છે. આમાંથી પોતાના મનને મુક્ત કરી બીજા સારા ભવ્ય વિચાર પર મનને સ્થિર કરવાનું તે જાણતો જ નથી. તેને વિચારના નિયમો, મનનો સ્વભાવ અને તેની સૂક્ષ્મ પ્રક્રિયાનું ભાન જ નથી. તેની પાસે ભૌતિક રિદ્ધિસિદ્ધિ તેમ જ યુનિવર્સિટીમાંથી મેળવેલું પુસ્તકિયું જ્ઞાન પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં તેની સ્થિતિ ખૂબ દયાજનક છે. તેનામાં વિવેકનો ઉદય થયો હોતો નથી. તેને સંત, ધર્મશાસ્ત્ર ને ઈશ્વરમાં શ્રદ્ધા હોતી નથી. યોગ્ય મનોબળની ખામીને લીધે તે પાપમય ઇચ્છા, વાસના કે લાલચની સામે થઈ શકતો નથી. આમ મનમાં ઠાંસીને ભરેલ સંસારનો મદ, મોહ, આસક્તિ, વગેરેને દૂર કરવા માટે નિયમિત સત્સંગ એટલે સાધુ, સંન્યાસી કે મહાત્માઓનો સંગ એ જ મુખ્ય ઉપાય છે.
નિવૃત્તિ બાદ મનુષ્ય પોતાના સંકલ્પોની ભૂમિકા તદ્દન બદલી નાખવી જોઈએ અને પોતાનો સમય તત્ત્વજ્ઞાન, શાસ્ત્રોનો અભ્યાસ અને આધ્યાત્મિક ચિંતનમાં ગાળવો જોઈએ. ગમે તેવા અયોગ્ય વિચારોને દૂર કરી તેને બદલે સવિચારોને નિયમિત રીતે મનમાં સ્થાન આપવું જોઈએ. આથી પ્રથમ તો શુભ સંકલ્પો કરવા માટેનું વલણ મનમાં ઉત્પન્ન થશે. આગળ જતાં આના સતત અભ્યાસથી મનને માત્ર સાત્ત્વિક, સદ્ગુણી વિચારો કરવાની ટેવ પડી જશે. આ માટે તમારે ખૂબ જ પરિશ્રમ લેવો પડશે.
જૂની ટેવો જોર કરી વારંવાર આગળ આવશે. જયાં સુધી સત્ માટે સંકલ્પો સ્થિર ટેવરૂપી બની જાય, ત્યાં સુધી તમારા મનને વારંવાર ગીતા, ભગવાન કૃષ્ણ, રામ, ઉપનિષદ વગેરેના સાત્ત્વિક દિવ્ય વિચારોથી ભરવું જ પડશે. આથી મનમાં નવો ચીલો પડી નવું માર્ગદર્શન થશે. જેવી રીતે ગ્રામોફોનની પીન તાવડીમાં બારીક આંકો પાડે છે. તેવી જ રીતે સાત્વિક સંકલ્પ મગજમાં નવીન આરોગ્યદાયક સંસ્કાર ઉત્પન્ન કરે છે.
પછી બહુ પ્રયત્ન કર્યા વિના પણ તમે મનને એકાગ્ર કરી શકશો. જેણે પોતાના મન પર વિજય મેળવ્યો છે તે પોતાની શુદ્ધ બુદ્ધિ દ્વારા પોતાની અંદર જ સૂક્ષ્મથી જ સૂક્ષ્મ આનંદ, શાંતિ ને જ્ઞાનનો ભંડાર રૂપ શાશ્વત બ્રહ્મનું દર્શન કરે છે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયો સાથે સંબંધમાં આવે ત્યારે માનસિક જ્ઞાન ઉત્પન્ન થાય છે. જો ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લઈ મનને તદ્દન શાંત કરવામાં આવે તો અમુક કાળે એવી સ્થિતિ થાય છે કે ઇન્દ્રિયો ને વિષયો વચ્ચેનો સંબંધ જ તૂટી જાય છે.