________________
વિચાર-સુધારણાની યોજનાઓ
૧. વિવેકશક્તિ અને આંતરિક માનસિક સુધારણા
જ્યારે જ્યારે તમારા મનમાં ઇચ્છાનો ફણગો ફૂટે, ત્યારે ત્યારે તેને પોષવાનો કે સંતોષવાનો પ્રયાસ કરો નહિ. વિવેકશક્તિ, યોગ્ય નિરીક્ષણ અને વૈરાગ્ય દ્વારા તેને દૂર કરો. આવા સતત અભ્યાસથી તમને મનની શાંતિ ને મનોબળ પ્રાપ્ત થશે. આથી મનમાંના વિચારો પણ વિરલ બનશે ને મનની રખડપાટ એકદમ અટકી જશે, કેમ કે તેની બહાર જવાની વૃત્તિ પર કાબૂ આવી જાય છે.
જો ઇચ્છાઓનો નાશ કરવામાં આવે તો વિચારો પોતાની મેળે નાશ પામે છે. વિષય ભોગના પદાર્થોમાં સતત દોષ જોવાની વૃત્તિથી મન તેમનાથી અલગ પડી જાય છે ને બ્રહ્મ પર એકાગ્ર થઈ શકે છે.
શમના અભ્યાસ દ્વારા આંખ, કાન, નાક, જીભ, ને ચામડી એ પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ સંયમમાં આવી જાય છે. શમ એટલે વાસના કે ઇચ્છાઓના નાશ દ્વારા પ્રાપ્ત થતી મનની શાંતિ. ૨. વિકાસી વિચારો ને આત્મનિરીક્ષણ
અશુભ દુષ્ટ સંકલ્પોનાં ભયાનક ને વિનાશક પરિણામોનો પૂરેપૂરો વિચાર કરો. આથી જ્યારે જ્યારે ખરાબ સંકલ્પો મનમાં સ્ફરે ત્યારે તમે સાવધાન બની જશો. જે ક્ષણે તેઓ ઉત્પન્ન થાય તે જ ક્ષણે મનને દિવ્ય સંકલ્પપ્રેરક એવી બીજી કોઈ વસ્તુ, પ્રાર્થના કે જપ તરફ વાળવાનો પ્રયાસ કરો. જો તમારામાં ખરાબ વિચારોને હાંકી કાઢવાની ખરેખરી તીવ્ર તમન્ના હશે તો તમે એટલા બધા સાવધાન બની જશો કે તે સ્વપ્રમાં દેખાય તો પણ તમે જાગી જશો. જો તમે પૂરેપૂરા સાવધ હશો તો જાગૃત અવસ્થામાં જયારે તમારો કટ્ટર દુશ્મન તમારી સામે આવે ત્યારે પણ તેને પહોંચી વળવાનું તમને જરાય મુશ્કેલ નહિ લાગે.