________________
સંકલ્પો પર વિજય એટલે જ બધી મર્યાદાઓ, નિર્બળતા, અજ્ઞાન ને મૃત્યુ પર ખરો વિજય. મશીનગનથી ચલાવાતા બહારના યુદ્ધ કરતાં મનની અંદર ચાલતું આંતરિક યુદ્ધ વધારે ભયંકર છે. શસ્ત્રબળથી જગત જીતવા કરતાં સંકલ્પો પર વિજય મેળવવો એ વધારે મુશ્કેલ છે માટે તમારા વિચારોને જીતો અને તમે આખા જગતને જીતી શકશો. ૧૪. વિચારશક્તિને દિવ્ય માર્ગે વાળો
સામાન્ય રીતે વિચારો બાહ્ય પદાર્થો તરફ સહેલાઈથી વહે છે. મનનો એવો જ સ્વભાવ છે કે તે સંસારી પદાર્થોનું સરળતાથી ચિંતન કરી શકે છે.
આથી મગજમાં સાંસારિક વિચારોને સહેલાઈથી વહન કરી શકે તેવા જૂના સમયથી ચીલા પડી ગયા હોય છે અને તે જ માર્ગે વિચારો દોડે છે. આથી ઈશ્વરનું ચિંતન કરવું એ તેને માટે ખૂબ જ મુશ્કેલ લાગે છે. ખરેખર, વહેવારિક સાંસારિક મનુષ્યને આ કાર્ય પર્વત પર ચડવા જેટલું મુશ્કેલ લાગે છે.
બાહ્ય સાંસારિક વિચારોથી મનને મુક્ત કરી ઈશ્વર પર સ્થિર કરવું એ ગંગાસાગર તરફ વહેતા ગંગાના કુદરતી પ્રવાહને પાછો વાળી ગંગોત્રી તરફ લઈ જવા જેટલું મુશ્કેલ છે. તે યમુનાના પ્રવાહ સામે હોડીને હંકારવા સમાન છે.
છતાં જો જન્મમૃત્યુના દુઃખથી મુક્ત થવાની ઇચ્છા હોય તો સતત પ્રબળ પુરુષાર્થ ને ત્યાગ દ્વારા મનના પ્રવાહને તેની ઇચ્છા વિરુદ્ધ પણ ઈશ્વર તરફ વાગ્યે જ છૂટકો. જો તમારે સંસારનાં દુઃખો અને આપદાઓથી મુક્ત થવું હોય તો આ સિવાય બીજો એક રસ્તો નથી. ૧૫. વિચાર-વિજયમાં સતત નિરીક્ષણનું મહત્ત્વ
શરૂઆતમાં મનને એક જ વિચાર પર કેન્દ્રિત કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ લાગશે. પ્રથમ તો વિચારોની સંખ્યા ઓછી કરો. એક વખતે માત્ર એક જ પદાર્થનો વિચાર કરો.
જો તમે ગુલાબના ફૂલનો વિચાર કરતા હો તો તમારે માત્ર ગુલાબ પર જ બધા વિચારોને કેન્દ્રિત કરવા જોઈએ. પૃથ્વીના જુદા જુદા પ્રદેશોમાં ઊગતાં જુદી જુદી જાતનાં ગુલાબોનો તમે વિચાર કરી શકો છો. ગુલાબમાંથી બનતી વિવિધ પ્રકારની વસ્તુઓ અને તેના ઉપયોગ સંબંધી