________________
સામે જોરશોરથી વિરોધ કરી જાહેર કરે છે કે, “હે મનુષ્ય ! ક્રૂર બન નહિ. તેં મને અનાદિ કાળથી તારા મનરૂપી ઘરમાં નિવાસસ્થાન આપ્યું છે. અહીં રહેવાનો અમને પૂરેપૂરો હક છે. અને તને તારાં દુષ્કૃત્યોમાં આજ સુધી મદદ કરી છે, તો હવે તું અમને અમારા નિવાસસ્થાનમાંથી શા માટે હાંકી કાઢે છે? અમે અમારા સ્થાનને હવે ખાલી કરીશું નહિ.” પણ આથી નિરાશ થાઓ નહિ ને નિયમિત રીતે તમારા ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખો. આથી જરૂર આ ખરાબ વિચારો ઓછા થઈ જશે, ક્રમે ક્રમે તેઓ નાશ પણ પામશે.
હકારાત્મક શુભ વસ્તુ હંમેશાં નકારાત્મક અશુભ વસ્તુ પર વિજય મેળવે છે. આ કુદરતનો કાયદો છે. હકારાત્મક સારા વિચારો આગળ નકારાત્મક ખરાબ વિચારો કદી ટકી શકે જ નહિ. હિંમત ભયને દૂર કરે છે. ધૈર્ય, ક્રોધ ને ચીડિયાપણાને હરાવે છે, પ્રેમ દ્વેષ પર વિજય મેળવે છે. પવિત્રતા કામના સંકલ્પને ટકવા દેતી નથી. ધ્યાનને સમયે ખરાબ વિચાર સપાટી પર આવતાની સાથે જ હવે તમે બેચેન બની જાઓ છો. આ હકીક્ત જ બતાવે છે કે તમે આધ્યાત્મિકતામાં પ્રગતિ કરતા જાઓ છો.
ભૂતકાળમાં તમે જાણીબૂઝીને બધા પ્રકારના પાપમય વિચારોને આશ્રય આપતા હતા. તમે તેમને આવકારતા અને પોષણ આપતા. હવે તમે તમારી આધ્યાત્મિક સાધનામાં અડગ રહો. તેમાં આગ્રહી ને ખંતીલા બનો. આથી જરૂર તમને વિજય મળવાનો જ. મંદ સાધક પણ જો બે કે ત્રણ પ્રકારની જપ અને ધ્યાનની સાધનામાં અખંડ રીતે મંડ્યો રહે તો તેનામાં અદ્ભુત પરિવર્તન થયેલું જણાશે. હવે તે અભ્યાસને છોડી શકશે નહિ. જો ધ્યાનથી સાધનાને તે એક દિવસને માટે પણ છોડી દે તો હવે તેને લાગશે કે તે દિવસે તેણે કંઈક ગુમાવ્યું છે અને તેનું મન તદ્દન બેચેન બની જશે. ૧૦. અનિષ્ટ વિચારો દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપાયો
જ્યારે મન શૂન્ય હોય છે ત્યારે હલકા વિચારો અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. મોહ ને કામથી ભરેલા દુષ્ટ વિચારો એ જ વ્યભિચારની શરૂઆત છે. કામાસકૃત દષ્ટિથી જ હૃદયમાં વ્યભિચારની શરૂઆત થઈ ચૂકી સમજવી. “માનસિક કર્મ એ જ સાચાં કર્મ છે.” આ વાતને દઢ રીતે યાદ રાખો ! ઈશ્વર મનુષ્યની કિંમત તેની ભાવના અનુસાર કરે છે, ત્યારે સંસારી મનુષ્યો માત્ર તેના બહારના કાર્યોથી તેની કિંમત આંકે છે. માટે હંમેશાં મનુષ્યની ભાવના તરફ જુઓ – આથી તમે કદી ભૂલ ખાશો નહિ.