________________
આપો. આ કાર્ય ટેકરી પર ચડવા જેવું મુશ્કેલ છે. પણ તે કર્યો જ છૂટકો છે. થોડા સમય બાદ તમે તમારા પ્રયાસમાં સફળ થશો.
એક દુષ્ટ વિચારને દાબી દેવામાં સફળ થતાં બીજા દુષ્ટ વિચારોને નાશ કરવાનું બળ તમારામાં ઉત્પન્ન થશે. જેને લીધે તમારી આધ્યાત્મિક શક્તિ, ને ઇચ્છાશક્તિમાં પણ વૃદ્ધિ થશે.
ખરાબ સંકલ્પનો નાશ કરવામાં તમે નિષ્ફળ જાઓ તો પણ કદી નિરાશ થાઓ નહિ. પરસેવો ઉતાર્યા વિના મેવો મળે નહિ. ધીમે ધીમે તમારામાં આંતરિક આધ્યાત્મિક બળ ઉત્પન્ન થશે, જેનો તમને અનુભવ થવા માંડશે. ૯. ખરાબ વિચારોનો નાશ કરવા માટે આધ્યાત્મિક અભ્યાસ
કોઈ વાર જ્યારે ખરાબ વિચાર તમારા મનમાં પ્રવેશ કરે ત્યારે તમારું મન ધ્રુજી ઊઠે છે. આ તમારી આધ્યાત્મિક પ્રગતિનું ચિત્ર છે. આ બતાવે છે કે, તમારો આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે. હવે ભૂતકાળમાં થયેલાં તમારાં દુષ્ટ કાર્યોનો વિચાર કરતાં તમને તીવ્ર દુઃખ થશે. હવે તમે તેવાં કામ ફરીથી કરશો નહિ. તે કરવા જતાં તમારું મન કંપી ઊઠશે. ટેવની પ્રબળતાથી જયારે જયારે કોઈ ખરાબ વિચાર તમને દુષ્ટ કૃત્ય કરવા માટે પ્રેરશે, ત્યારે તમારું શરીર કંપી ઊઠશે. પૂરેપૂરા બળ ને ઉત્સાહપૂર્વક તમારું ધ્યાન ચાલુ રાખો. આમ, દુષ્કૃત્યોની બધી યાદ ને દુષ્ટ વિચારોની બધી છાપ ભૂંસાઈ જતાં સંતાનનાં બધાં પાપમય સૂચનો એની મેળે નાશ પામશે અને ત્યારે તમારું જીવન સંપૂર્ણ પવિત્રતા અને શાંતિથી સુરક્ષિત બનશે.
શરૂઆતમાં તો જયારે તમે ધ્યાનમાં બેસશો ત્યારે બધી જાતના પાપમય વિચારો તેમાં જાગૃત થશે. જ્યારે ધ્યાનમાં તમે શુદ્ધ વિચારો માટે પ્રયાસ કરો છો ત્યારે જ આમ કેમ બને છે ?
આ વસ્તુસ્થિતિથી કંટાળી કેટલાક સાધકો પોતાની આધ્યાત્મિક ધ્યાનની સાધના છોડી પણ દે છે. જો તમે ગધેડાને હાંકી કાઢવાનો પ્રયાસ કરશો તો તે વેર લેવા તમારા પર હલ્લો કરશે. તેવી જ રીતે જયારે તમે સારા પવિત્ર દિવ્ય વિચારો કરવા બેસો છો, ત્યારે જૂના પાપમય વિચારો બમણા વેગથી વેર લેવા માટે તમારા ઉપર ઘસારો કરે છે. જયારે તમારા દુશ્મનને તમારા ઘરમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કરો છો ત્યારે તે પૂરેપૂરા જોરથી તમારી સામે થાય છે.
કુદરતમાં વિરોધ કે પ્રતિક્રિયાનો નિયમ કામ કરે છે. જેના અશુભ વિચારો