________________
આથી તે ધીમે ધીમે તમારે વશ થશે. મન સાથે અસહકારની આ યોજનાથી સફળ પરિણામ આવે છે. જો મને કહે કે, “આજે મને મીઠાઈ ખાવાની ઇચ્છા છે.” તો મનને કહો, “હું તને આ બાબતમાં સાથ આપીશ નહિ. હું મીઠાઈ ખાઈશ નહિ. હું તો માત્ર રોટી ને દાળ ખાઈશ.” જો મન કહે કે “આજે હું સિનેમા જોવા જવાનો છું.” તો મનને કહો કે “હું તો સ્વામી રામાનંદના સત્સંગમાં જઈશ ને તેમના ઉપનિષદ પરનાં વ્યાખ્યાનો સાંભળીશ.” જો મને કહે કે, “રેશમી પહેરણ પહેરવાની ઇચ્છા છે.” તો મનને કહો કે ““હું ભવિષ્યમાં કદી રેશમી વસ્ત્ર પહેરવાનો નથી. હું તો માત્ર ખાદી જ પહેરીશ.”મન સાથે અસહકાર કરવાની આ પદ્ધતિ છે. મન સાથેનો અસહકાર એટલે વિષયના પ્રવાહની સામે તરવું તે. આથી મનની ચંચળતા ઓછી થતી જશે અને ધીમે ધીમે તે તમારું દાસ બનશે. આમ, મન ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શકશો.
જે સંયમી મનુષ્ય વિષયોના ભોગપદાર્થોની વચ્ચે રહેવા છતાં રાગદ્વેષથી મુક્ત રહી મનને સંયમમાં રાખી શકે છે તે જ શાંતિ મેળવી શકે છે. મનને ઇન્દ્રિયો કુદરતી રીતે જ રાગ ને દ્વેષ રૂપી બે વિરોધી પ્રવાહોને આધીન છે માટે જ તેમને અમુક પદાર્થો ગમતા નથી પણ તપસ્વી સાધક સંસારના પદાર્થોની વચ્ચે રાગદ્વેષ વિના સંપૂર્ણ આત્મસંયમ સાથે વિચારી શકે છે, શાશ્વત શાંતિ મેળવી શકે છે.
સંયમી પુરુષમાં દઢ ઇચ્છાશક્તિ હોય છે. આથી ઇન્દ્રિયો ને મન તેની ઇચ્છાને અનુસરે છે. તે માત્ર શરીરના નિર્વાહ પૂરતા જરૂરી પદાર્થો રાગદ્વેષ વિના સ્વીકારે છે અને શાસ્ત્રમાં નિષેધ કરેલ કોઈ પદાર્થને ભોગવવાની ઇચ્છા કરતો નથી. ૪. વિચારોને ઓછા કરવાની કળા | રબરના ખેતરમાં રબરનાં મોટાં વૃક્ષોની નજીકમાં નાનાં નાનાં ઝાડ ઊગ્યાં હોય તેને તેનો માલિક કાપી નાખે છે. આમ કરવાથી તે મોટાં ઝાડમાંથી વધારે રસ મેળવી શકે છે. એવી જ રીતે તમારે એક પછી એક ફાલતુ વિચારોનો નાશ કરીને તમે અમૃતમય દૂધ અથવા અમૃતરસ મેળવી શકો છો.
જેવી રીતે આપણે ફળની ટોપલીમાં માત્ર સારાં જ ફળ રાખીએ છીએ ને ખરાબ ફળને ફેંકી દઈએ છીએ, તેવી જ રીતે તમારા મનમાં માત્ર સારા જ વિચારો રાખો ને ખરાબ વિચારો દૂર કરો.