________________
એક જ વિચારનું વારંવાર આવર્તન થવાથી તેનું બળ વધે છે. જો એકવાર સારો કે ખરાબ વિચાર મનમાં આવ્યો તો તે સારો કે ખરાબ વિચાર પછી વારંવાર આવવાનો જ.
જેમ એક જ જાતનાં પક્ષીઓ ટોળે મળે છે, તેવી જ રીતે સજાતીય વિચારો એક જ સ્થળે એકઠા થાય છે. જો તમે એક મલિન વિચાર કરશો તો બીજા અનેક મલિન વિચારો ભેગા થઈ તમારા ઉપર હલ્લો કરશે. જો તમે એક સારો વિચાર કરશો તો બીજા સારા વિચારો પણ સાથે મળીને તમને મદદ કરશે. ૬. નિષેધાત્મક વિચારોને દાબી દો.
તમારા બધા વિચારો સંયમમાં રાખવાનું, શુદ્ધ કરવાનું અને વ્યવસ્થિત કરવાનું શીખો. બધા નિષેધાત્મક મલિન વિચારો સામે યુદ્ધ કરો અને શંકાને મનમાં સ્થાન આપો નહિ. તમારા મનમાં મહાન દિવ્ય વિચારોને સર્વ બાજુથી આવવા દો.
નિષ્ફળતા, નિરાશા, નિર્બળતા, અંધકાર, શંકા, ભય, વગેરે પ્રત્યાઘાતી વિચારો છે. બળ, શ્રદ્ધા, હિંમત, આનંદ, વગેરેના પ્રગતિશીલ વિચારોને કેળવો એટલે પ્રત્યાઘાતી વિચારો તેની મેળે અદૃશ્ય થશે.
મનને દિવ્ય વિચારો, જપ, પ્રાર્થના, ધ્યાન ને પવિત્ર ધાર્મિક પુસ્તકોના વાચનમાં જ લીન રાખો. બધા નકારાત્મક દુન્યવી વિચારો પ્રત્યે જરા પણ ધ્યાન આપો નહિ, એટલે તેઓ આપોઆપ ચાલ્યા જશે. ઈશ્વરને શક્તિ માટે પ્રાર્થના કરો. સંતોનાં જીવનચરિત્ર વાચો. ભાગવત અને રામાયણનો રોજ સ્વાધ્યાય કરો. બધા ભક્તોને આ મુસીબતમાંથી પસાર થવું પડ્યું છે, માટે હિંમત રાખો. ૭. ચીલાચાલુ વિચારોને વશ થશો નહિ
શરીર, પોષાક, ખોરાક, વ્યવહાર વગેરે સંબંધી આપણા મનમાં ક્ષણે ક્ષણે સ્ફરતા ચીલાચાલુ વિચારોને પરમાત્મચિંતન, પ્રકૃતિચિંતન અથવા હૃદયની અંદર રહેલા દિવ્ય આત્માના ચિંતન દ્વારા દૂર કરો. આ કામ પર્વત ચડવા જેટલું મુશ્કેલ છે. તેમાં ખૂબ જ ધીરજ, સતત અભ્યાસ અને આધ્યાત્મિક બળની જરૂર પડે છે.
શ્રુતિ પોકારીને કહે છે, “નિર્બળ માણસ આ આત્માને પ્રાપ્ત કરી શકે જ નહિ, જેઓ હૃદયપૂર્વક આત્માનું દર્શન કરવા ઇચ્છે છે તેઓ દુનિયાના