________________
છે અને પોતાની મગજરૂપી અંધકારમય કોટડીમાં તે ચામાચીડિયાંની જેમ ફફડાટ મચાવી મૂકતા પ્રેત જેવા વિચારોને આધીન છે. ૪. દુન્યવી વિચારો પર વિજય મેળવો
વિચાર પર સંયમ રાખી તેને કેળવવાનો પ્રયાસ કરતાં શરૂઆતમાં દુન્યવી વિચારો તમને ખૂબ પજવશે. ધ્યાન કરતાં કે આધ્યાત્મિક માર્ગે ચાલતાં પણ તેઓ નડે છે. પણ જો તમે દિવ્ય વિચારો કેળવવાના તમારા અભ્યાસમાં નિયમિત રહેશો તો આ દુનિયાદારીના વિચારો ધીમે ધીમે પલાયન કરી જશે.
આ વિચારોને બાળી નાખવા માટે ધ્યાન એ અગ્નિરૂપ છે. બધા સાસારિક વિચારોને હાંકી કાઢવાનો યત્ન કરો નહિ. તમારા ચિંતનના વિષય સંબંધી વિધાયક સુંદર વિચારો કરો, તેની ભવ્યતા વિષે વિચારો.
હમેશાં તમારા મન પર કડક પહેરો બેસાડો અને તેની અંદરના વિચારોનું નિરીક્ષણ કરો. ઈર્ષા, ક્રોધ, તિરસ્કાર, કામ, ચંચળતા, વગેરેની ઊર્મિઓ મનમાં ઊઠવા ન દો. આ અંધકારમય દુનિયાદારીની ઇચ્છાઓ ધ્યાન, શાંતિ ને જ્ઞાનની દુશ્મનો છે.
ભવ્ય દિવ્ય વિચારો દ્વારા તેમને હાંકી જ કાઢો. મનમાં ઉત્પન્ન થતા આવા સામાન્ય ને હલકા વિચારોને સારા વિચારો દ્વારા, મંત્ર કે ઈશ્વરના નામના જપ દ્વારા, ઈશ્વરના કોઈપણ સ્વરૂપના ચિંતન દ્વારા, પ્રાણાયામથી, ઈશ્વરના નામના ગાનથી, સત્કાર્યોથી અને સંસારનાં દુઃખોનું મનન કરી હાંકી કાઢો.
જયારે તમારું મન શુદ્ધ થશે, ત્યારે તમારા મનમાં દુનિયાનો કોઈ વિચાર ઊઠશે જ નહિ. જેવી રીતે દુશ્મનને દરવાજા આગળ સામે થઈ અટકાવવો સહેલો થઈ પડે છે તેવી જ રીતે જેવો દુનિયાદારી વિચાર હૃદયમાં ઉત્પન્ન થાય તેવો જ તેને અટકાવી દેવો એ સહેલું છે. ઉત્પન્ન થાય તે પહેલાં જ તેને દાબી દો. તેને ઊંડાં મૂળ નાખવા દો નહિ. ૫. મલિન વિચારો પર વિજય મેળવો
જયારે તમે તમારા રોજના વહેવારના કામમાં લીન હો ત્યારે મનમાં મલિન વિચારો પ્રવેશાશે નહિ, પણ જ્યારે તમે આરામ કરતા હો ને મન, તદ્દન ખાલી હોય ત્યારે અશુદ્ધ વિચારો ચૂપકીથી અંદર પ્રવેશ કરી જશે. જ્યારે મન આરામ કરતું હોય ત્યારે જ સચેત રહેવાનું છે.