________________
૮. સર્જક વિચારશક્તિ કેળવો
| વિચાર એ જીવતી જાગતી સૂક્ષ્મ શક્તિ છે તેના જેટલી સૂક્ષ્મ, શક્તિશાળી અને દુર્ઘર્ષ શક્તિ વિશ્વમાં બીજી એક ય નથી.
| વિચારો ચેતન મૂર્તિમંત પદાર્થો છે. તેઓ ગતિ કરે છે. તેઓને આકાર, રૂપ, રંગ, ગુણ, ઘનતા, શક્તિ ને વજન હોય છે. વિચાર એ જ સાચું કર્મ છે. તે શક્તિશાળી કર્મ તરીકે પ્રકટ થાય છે.
એક આનંદનો વિચાર તેના પ્રતિબિંબરૂપે બીજામાં પણ સામો તેવો જ આનંદનો વિચાર ઉત્પન્ન કરશે. અશુભ વિચારને નિર્મૂળ કરવા માટે તેનો વિરોધી શુભ ને ઉન્નત વિચાર ઉત્પન્ન કરવો જ જોઈએ.
ઉમદા ભવ્ય વિચારોને અમલી બનાવીને જ આપણે સર્જન શક્તિ મેળવવી જોઈએ. ૯. વ્યક્તિત્વનો વિકાસ કરો. ઊલટાં સૂચનોની સામે થાઓ
બીજાનાં વિરોધી સૂચનોની અસર તમારા પર ન થાય તેનું ધ્યાન રાખો. તમારા પોતાના ભવ્ય વ્યક્તિત્વને જાળવી રાખો. આપણા પ્રત્યે ફેકેલું તીવ્ર વિરોધી સૂચન કદાચ તાત્કાલિક અસર ન કરી શકે તો પણ કદાપિ તદ્દન નિષ્ફળ જતું નથી. યોગ્ય કાળે તેની અસર થવાની જ.
એકબીજાનાં સૂચનથી જ દુનિયા ઘડાય છે ને બદલાય છે. બીજા સાથેના સહવાસથી આપણું ચારિત્ર્ય આપણને ખબર ન પડે તેવી રીતે કેળવાય છે. જેની આપણે પ્રશંસા કરીએ છીએ તેનાં કાર્યોનું અજાણપણે આપણા જીવનમાં આપણે અનુકરણ કરીએ છીએ. જેના જેના પ્રસંગમાં આપણે રોજ આવીએ છીએ તેની અસર આપણા પર થવાની જ. તેના સૂચનો આપણા મનના વિચારો સાથે અથડાવવાના જ. નિર્બળ મનોબળવાળો માણસ સબળ માનસિક શક્તિવાળા આગળ નમી પડવાનો જ.
નોકર હંમેશાં માલિકના, સ્ત્રી પતિના, દરદી ડૉક્ટરના ને શિષ્ય ગુરુના સૂચનની અસર નીચે હોય છે.
રૂઢિ કે રિવાજ પણ સૂચનનું જ પરિણામ છે. તમારો પોષાક, તમારી રીતભાત, વર્તણૂક અને તમારો ખોરાક પણ સૂચનનાં જ પરિણામ છે.
કુદરત પણ માણસને વિવિધ રીતે સૂચન કરી દોરે છે. દોડતી નદીઓ, પ્રકાશતો સૂર્ય, સુગંધી ફૂલો, ઊગતાં વૃક્ષો વગેરે અવિરત રીતે સૂચનો પ્રેર્યા જ કરે છે.