________________
૩. વિચારો શરીર પર અસર કરે છે.
દરેક વિચાર, સંકલ્પ કે લાગણી શરીરના દરેક કોષમાં તીવ્ર ધ્રુજારી ઉત્પન્ન કરે છે અને તેના ઉપર સ્પષ્ટ છાપ પાડે છે.
જો તમારા ઉપર અસર કરતા વિચારથી વિરોધી વિચાર ઉત્પન્ન કરવાની કળા તમને આવડતી હોય તો જ તમે સુખ, શાંતિ ને શક્તિમય આનંદી જીવન ગાળી શકો. પ્રેમનો વિચાર તિરસ્કારના વિચારનો નાશ કરશે. હિંમતનો વિચાર ભયના વિચાર સામે તત્કાળ શાંતિ ને રાહત આપશે. ૪. સંકલ્પશક્તિ ભાગ્યને પણ પલટાવે છે.
મનુષ્ય સંકલ્પને વાવે છે અને કાર્યરૂપી ફળ લખે છે. તે કાર્યને વાવે છે ને ટેવરૂપી પાક મેળવે છે. તે ટેવ કેળવે છે ને તેમાંથી ચારિત્ર્ય ઘડે છે. તે ચારિત્ર્યને પાકું બનાવી તેમાંથી પોતાનું ભાગ્ય ઘડે છે.
મનુષ્ય પોતાના વિચાર ને કાર્યોથી પોતાના નસીબનો વિધાતા બને છે. તે પોતાના ભાગ્યને પલટાવી શકે એમાં જરા પણ શંકા નથી. મનુષ્ય જ પોતાના ભાગ્યને માટે જવાબદાર છે. યોગ્ય વિચાર ને પ્રબળ પુરુષાર્થથી તે પોતાનો ભાગ્યવિધાતા બની શકે છે.
કેટલાક અજ્ઞાનીઓ કહે છે, “ભાગ્ય જ બધું કરે છે. મારા ભાગ્યમાં જેમ લખ્યું હશે તેમ થશે, તો મારે શા માટે પ્રયાસ કરવો જોઈએ? ભાગ્યને કોઈ ફેરવી શકે નહિ.”
આ નર્યો નિરાશાવાદ છે. આથી પ્રમાદ, આળસ, દીર્ઘસૂત્રતા ને દુઃખ જ ઉત્પન્ન થવાનાં. કર્મના નિયમો સંબંધી આ સંપૂર્ણ અજ્ઞાન બતાવે છે. આ દલીલ દોષભરેલી છે. બુદ્ધિશાળી માણસ કદી આવો પ્રશ્ન કરે જ નહિ. તમારા વિચાર ને કાર્યોથી તમે જ તમારું ભાગ્ય ઘડી રહ્યા છો.
કયું કાર્ય પસંદ કરવું ને કયું ન કરવું તે બાબતની તમારામાં સ્વતંત્રતા રહેલી છે. કર્મ કરવામાં સ્વાતંત્ર્ય હોવાથી દુષ્ટ એ કાયમને માટે દુષ્ટ નથી. દુષ્ટને સંતની સંગતમાં રાખો તો તે થોડા સમયમાં સુધરી જશે. તેના વિચાર ને કાર્યમાં પલટો આવશે. આથી તેનું ભાગ્ય પણ બદલાઈ જશે. તેનું ચારિત્ર્ય ‘પણ બદલાઈને તે સંત બની જશે.
રત્નાકર લૂંટારો બદલાઈને વાલ્મીકિ ઋષિ બન્યા. જગાઈ ને માધાઈનું પણ પરિવર્તન થઈ ગયું. તે બધા પહેલા નંબરના ખલ હતા. તમે પણ