________________
પણ સરળતાથી કરી શકે છે. તેવી જ રીતે મનુષ્ય પણ યોગ્ય રક્ષક વલણ લઈ તેને અનુરૂપ વર્તન કરી વિરોધી વિચારપ્રવાહોની અંદર પણ સરળતાથી જીવનનૌકા ચલાવી શકે છે.
જે આમ કરી શકતો નથી તે ગુલામ બની જાય છે. વિવિધ પ્રવાહોના બળથી આમતેમ ઠોકરાતો નિરાધાર રીતે બહાર ફેંકાઈ જાય છે. નદીના પ્રવાહોમાં ફંગોળાતા પાટિયા જેવી તેની સ્થિતિ હોય છે. આમ, પાસે સમૃદ્ધિ હોવા છતાં તેનું જીવન નિરાશ ને દુઃખમય હોય છે.
જે સ્ટીમરના કપ્તાન પાસે હોકાયંત્ર હોય, જેને દરિયાનું તેમજ તે પરના રસ્તાનું ને દરિયાના પ્રવાહોનું સંપૂર્ણ જ્ઞાન હોય તે જ સરળતાથી દરિયાઈ સફર ખેડી શકે, નહિતર નિરાધાર રીતે તેની સ્ટીમર ગમે ત્યાં ધસી જઈ કોઈ હિમપર્વત કે ખડક સાથે અથડાઈને ભૂકો થઈ જાય. તેવી જ રીતે, આ સંસારસાગરમાં પ્રવાસી એવા જીવને પણ વિચાર ને પ્રકૃતિના નિયમોનું પૂરેપૂરું જ્ઞાન હોય તો જ અકસ્માત વગર સહેલાઈથી પોતાની સફર ચાલુ રાખી છેવટે પોતાનું ચોક્કસ ધ્યેય સિદ્ધ કરી શકે છે.
વિચારના નિયમો જો બરાબર સમજવામાં આવે, તો તમે તમારા ચારિત્ર્યને ઇચ્છા પ્રમાણે ઘડી શકો. “જેવા વિચાર તેવો મનુષ્ય” આ વિચારનો સૌથી મહાન નિયમ છે. તમે પવિત્ર છો એવી ભાવના રાખશો તો જરૂર પવિત્ર થશો. તમે ઉમદા વિચારો સેવશો તો ઉમદા જ બનશો. - તમારી પ્રકૃતિને જ ફેરવી નાખી સાત્ત્વિક બનાવો, બધાનું હિત જ ઇચ્છો. હમેશાં સત્કર્મો આચરો, સર્વની સેવા કરો, બીજાની સેવા કરવા માટે જ જીવો. તો જ તમને સુખ મળશે અને સાનુકૂળ સંજોગો અને સુંદર તકો પણ તો જ તમે પ્રાપ્ત કરી શકશો.
જો તમે બીજાને ઇજા કરશો. બીજાની નિંદા કરશો, જ્યાં ત્યાં ધાંધલ મચાવશો, ચાડીચુગલી કરશો, બીજાને છેતરશો, બીજાને દગાફટકો કરી કે ચોરીને બીજાની માલમિલકત પડાવી લેશો, બીજાને દુઃખદાયક કોઈ પણ કૃત્ય કરશો, તો પરિણામે તમારે દુઃખ જ ભોગવવું પડશે. આથી તમારે પ્રતિકૂળ સંજોગો કે પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે.
આ વિચાર તેમ જ કુદરતનો કાયદો છે. જેવી રીતે તમે ઉન્નત વિચારોથી તમારા ચારિત્ર્યને ઉન્નત કરી શકો અને અધમ વિચારોથી ચારિત્ર્યને અધમ કરી શકો, તેવી જ રીતે સારાં ખરાબ કાયથી અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો રચી શકો.