________________
વિવેકશીલ માણસ હંમેશાં બહુ જ સાવચેત રહી આજુબાજુની સર્વ પરિસ્થિતિનું ધ્યાન રાખે છે. સાથે સાથે તે પોતાની અંદરના વિચારોનું પણ બારીકીથી નિરીક્ષણ કરે છે.
પોતાના મનરૂપી કારખાનામાં શું ચાલી રહ્યું છે તેની તેને બરાબર ખબર પડે છે. વળી, અમુક સમયે મનમાં કઈ વૃત્તિ કે ગુણ પ્રવર્તે છે તે પણ તે બરાબર જાણી શકે છે. પોતાના મનરૂપી કાર્યાલયના દરવાજામાં એકેય હલકા વિચારને તે પ્રવેશવા દેતો જ નથી. આવો વિચાર ઉદ્ભવે તે પહેલાં જ તેનો નાશ કરે છે.
વિવેકશીલ મનુષ્ય પોતાની આંતરદષ્ટિથી, વિવેકશક્તિથી, ભવ્ય વિચારસરણીથી પોતના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચારોને પણ સંયમમાં રાખી ભવ્ય ચારિત્ર્ય ઘડે છે અને મહાન ભાગ્યનિર્માણ કરે છે. પોતાની વાણીમાં તે ખૂબ જ સાવચેત રહે છે. તે જરૂર પૂરતું જ બોલે છે અને તેના શબ્દો પણ મધુર અને પ્રેમાળ હોય છે, બીજાની લાગણી દુભાય એવો એક પણ કઠોર શબ્દ તે બોલતો નથી. "
તે વૈર્ય, દયા, વિશ્વપ્રેમ, વગેરે સગુણોને કેળવે છે, તે હંમેશાં સત્ય બોલવાનો પ્રયાસ કરે છે. આમ, વાઇન્દ્રિય (જીભ) પર તે લગામ રાખે છે, તેના શબ્દો માપમાં જ બહાર નીકળે છે. તેનું લખાણ પણ મિતાક્ષરી હોય છે. આની અસર લોકોના મન ઉપર ખૂબ ઊંડી ને અનુકૂળ થાય છે.
તે વિચાર, વાણી ને વર્તનમાં બ્રહ્મચર્ય પાળે છે. શૌચ (અંદર-બહાર પવિત્રતા) અને આર્જવ (સીધાપણું) ને અમલી બનાવે છે. તેના મનના ભાવ હમેશાં શુદ્ધ જ હોય છે. શરીરનું, વાણીનું ને મનનું એમ ત્રણ પ્રકારનું તપ આચરે છે અને પોતાની દરેક ક્રિયા પર સંયમ રાખે છે. અશુભ વિચાર જ તેના મનમાં ઉત્પન્ન ન થાય તો અશુભ કર્મ કેવી રીતે કરે ?
તે હંમેશાં પોતાને માટે સાનુકૂળ સંજોગો તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે. જે બીજામાં સુખ ફેલાવવાનો પ્રયાસ કરે છે તેને હંમેશાં સુખ જ મળવાનું અને સુખને અનુકૂળ સંજોગો તેને માટે તૈયાર થવાના. જે લોકોમાં દુઃખ કે ભય ફેલાવે છે તેને માટે વિચારના નિયમ પ્રમાણે એવા જ પ્રતિકૂળ સંજોગો ઉત્પન્ન થવાના.
સારા વિચારોથી ખરાબ ચારિત્ર્ય પણ બદલાવી શકાય છે અને સત્કાર્યો કરવાથી પ્રતિકૂળ સંજોગોને પણ અનુકૂળ કરી શકાય છે.