________________
અહીં સિદ્ધિકારે સ્વયં મનુષ્યની બાળ અવસ્થા, કિશોર અવસ્થા કે યુવા આદિ અવસ્થા, એમ મુખ્યત્વે ત્રણ અવસ્થાના ધારક જીવાત્માને સાક્ષી રૂપ મૂકયો છે. તે સાક્ષી ત્રણે અવસ્થામાં એકનો એક છે. સાક્ષી જુદા જુદા હોય તો હું નાનો હતો, ત્યારે આમ થયેલું, તે વાત કહી શકે નહીં. જો જાણકાર વ્યક્તિ અવસ્થાની સાથે જ વિલય પામ્યો હોય, તો બીજી અવસ્થાનો જ્ઞાતા અને આ પ્રથમ અવસ્થાનો જ્ઞાતા, બન્નેનો એક સમયાન્તર છોડી પરસ્પર અનુભવ કહેવાનો અવસર જ આવતો નથી માટે કહે છે કે અવસ્થા ઘણી છે પણ અવસ્થાનો જાણકાર એકનો એક છે, હું નાનો હતો ત્યારે મેં જોયું હતું અને અત્યારે હું આમ જોઈ રહ્યો છું, આ રીતે બોલનારો એકનો એક છે અને સાક્ષી ભાવે પોતાના અનુભવનું ખ્યાન કરે છે.
આ રીતે અવસ્થાને સાક્ષી ભાવે નિહાળતો આવો સાક્ષી આત્મા પોતે અવસ્થાથી ભિન્ન છે અને ઘણી અવસ્થાનો જ્ઞાતા પોતે સાક્ષી રૂપે એક નો એક છે. માળાના મણકા ઘણા છે પણ તેમાં પરોવાયેલો દોરો એક જ છે અને દોરાના આધારે મણકાઓ આંગળી ઉપર ફરે, એક પછી એક પાર થાય છે, એ જ રીતે આ અવસ્થારૂપી પારા કાળ રૂપી આંગળી ઉપર દોરારૂપી સાક્ષીના આધારે પાર થતાં હોય છે પરંતુ આ બધી અવસ્થામાં દોરો એક નો એક છે. આ આખો સાક્ષી ભાવ ઉપાસનાના ક્ષેત્રમાં બીજી રીતે પણ ઘણું મહત્ત્વ ધરાવે છે. એક અપેક્ષાએ આ ઉદાહરણ પરોક્ષ રૂપે આ ગાથાનો આધ્યાત્મિક સંપૂટ છે. અવસ્થાઓ પદાર્થમાં થાય છે અને જીવ સાક્ષી રૂપે તેનો અનુભવ કરે છે. પદાર્થમાં જેમ અવસ્થા થાય છે, તેમ જાણવા રૂપ જ્ઞાનમાં પણ અવસ્થા થાય છે. આ એક સૂક્ષ્મ આધ્યાત્મિક વિજ્ઞાન છે. આત્મા રૂપ સાક્ષી જેમ પદાર્થની અવસ્થાનો જાણકાર છે, તેમ જ્ઞાનની અવસ્થાનો પણ જાણકાર છે. જ્ઞાનની અવસ્થાનો પણ તે સાક્ષી માત્ર છે. પદાર્થની અવસ્થાને અનુભવમાં લેનારી જે જ્ઞાન પર્યાય છે, તે એક પ્રકારનો વિકલ્પ છે.... અસ્તુ.
અહીં આપણે વિષયાંતર ન કરતાં મૂળ વાત પર આવીએ કે જીવાત્મા સાક્ષી રૂપે અવસ્થાનો અનુભવ કરી પોતે એકનો એક હોવાથી સ્વયં નિત્ય છે, એ પણ સાબિત થઈ જાય છે. સિદ્ધિકારે આપેલું જીવની નિત્યતાનું સમર્થન કરનાર આ ઉદાહરણ પણ અનુપમ છે.
- આ શરીરની ત્રણ અવસ્થાનો ક્રમ બાળપણું, કિશોર, યુવા આદિ કોના આધારે થાય છે ? તે ઘણો જ મહત્ત્વપૂર્ણ ઊંડો વિષય છે. ઉપાદાન રૂપે પુદ્ગલ પરમાણુની વિપાક પામેલી પર્યાયો શુભાશુભ નામકર્મનું નિમિત્ત મેળવી દેહની અવસ્થામાં રૂપાંતર કરે છે અને વિશ્વના તમામ શરીરધારી જીવો પર આ યુગલની વિપાક પામેલી પર્યાયોનો પ્રભાવ કાળના નિમિત્તે પડતો હોય છે. જીવાત્મા સાથે નામકર્મનો ઉદય જોડાયેલો છે. જયારે જડ પદાર્થની પર્યાયોમાં કાળ ઈત્યાદિ દ્રવ્યોનો પ્રભાવ કામ કરતો હોય છે.
- મનુષ્યની બાળપણ ઈત્યાદિ ત્રણે અવસ્થાઓ કર્માધીન છે. આ એટલો બધો પ્રકૃતિનો સખત નિયમ છે કે રાજા કે રંકથી લઈ કોઈ પણ વિદ્વાન કે અજ્ઞાની, સ્વરૂપવાન કે અરૂપવાન, ગુણી કે અવગુણી, બધાને આ નિયમ લાગુ પડે છે. આ બધી અવસ્થાઓ જીવન સાથે પણ સંબંધ ધરાવે