________________
કરોડો અવસ્થાઓ પદાર્થમાં સંચિત છે, નિત્ય છે, શાશ્વત છે. તે અવસ્થાઓ કાળનું અવલંબન લઈ આર્વિભાવ પામે છે અર્થાત્ પ્રગટ થાય છે, પરંતુ પુનઃ તે અવસ્થાઓનો નાશ થતો નથી. પરંતુ બધી અવસ્થાઓ તે પદાર્થમાં તિરોહિત થઈ જાય છે, સમાય જાય છે, અદૃશ્ય ભાવે પુનઃ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે છે. લાકડાના એક ટૂકડામાં ગણેશજી બેઠા છે. કારીગરે આજુબાજુનો બિનજરૂરી કાષ્ટનો ચૂરો દૂર કરી દીધો એટલે ગણેશજી પ્રગટ થયા અર્થાત્ તે લાકડામાં હતા જ, નિમિત્ત પ્રાપ્ત થતાં આર્વિભૂત થાય, વિપરીત નિમિત્ત થતાં તેમાં સમાઈ જાય છે, જેને લૌકિક ભાષામાં નાશ થયો, તેમ કહે છે. આમ આર્વિભાવ અને તિરોભાવના સિદ્ધાંતે પદાર્થમાં પલટાઓ આવે છે. મૂળ પદાર્થ કાયમ રહે છે. અહીં આપણા શાસ્ત્રકારે આ સિદ્ધાંતને ખંડિત કર્યા વિના અને જૈનદર્શનના સિદ્ધાંતને પણ કાયમ રાખી એક જ નાનું વાકય મૂકી દીધું કે ‘પર્યાયે પલટાય’. અવસ્થાને આધારે પલટો થાય છે, તેમ અન્ય દર્શન પણ માને છે પરંતુ કથન કરવાની શૈલી અલગ અલગ છે. મૂળ દ્રવ્ય કાયમ રહે છે. તેમાં લગભગ બધા દર્શન એક મત છે. આ સ્થાયી ભાવ આત્માની સ્થાયી શાશ્વત અવસ્થા છે. જેને નિત્ય અવસ્થા કહી શકાય, બાકી જે કાંઈ પલટો થાય છે. તે પર્યાયના આધારે થાય છે.
પર્યાયની ક્રમિકતા :- હવે આપણા પ્રશ્ન પર આવીએ. શું પર્યાય ક્રમિક છે ? શું પર્યાયનું રૂપ આગળથી નિશ્ચિત છે ? શું ભિન્ન ભિન્ન પ્રકારની પર્યાયો થાય છે, તેમાં કોઈ કારણોનો હસ્તક્ષેપ છે કે સ્વતંત્ર રૂપે ઉદ્ભવ થાય છે ? અધ્યાત્મશાસ્ત્રનો આ બહુ જ ગહન પ્રશ્ન છે. કેટલાક ચિંતનકારોએ ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર કર્યો છે અને બધી પર્યાયોનો એક નિશ્ચિત ક્રમ ગોઠવાયેલો છે. પર્યાયો સ્વતંત્ર રીતે ઉત્પન્ન થતી નથી પરંતુ ક્રમ અનુસાર અર્થાત્ તેના મૂળમાં જે કાંઈ ક્રમ નિશ્ચિત થયેલો છે, તે ક્રમ અનુસાર જ પરિવર્તન થાય છે. આંબામાં લાગેલી કેરીની પ્રાથમિક શરૂઆત ધીરે ધીરે ક્રમાનુસાર વિકાસ પામે છે. કેરીમાં તુરાપણુ, ખટાશ એ બધા ભાવો પલટાતા પલટાતા કેરીનો એક નિશ્ચિત દેહ પ્રગટ થાય છે અને ક્રમાનુસાર તેના રૂપ, રંગ ખીલે છે. છેવટે મધુર રસ પેદા થાય છે, આ બધા પ્રકૃતિ જગતના ક્રમો સાક્ષાત નિહાળી શકાય છે. બાળક, કિશોર, તરુણ, યુવક, આધેડ અને વૃદ્ધ, આ બધો શરીરનો એક ક્રમબદ્ધ પલટો થાય છે. આથી આપણે માનવું રહ્યું કે જે કાંઈ અવસ્થા કે પર્યાય છે તે ક્રમના સિદ્ધાંતને જાળવે છે અથવા ક્રમ અનુસાર થાય છે. લગભગ ક્રમમાં વ્યુત્ક્રમ જોવામાં આવતો નથી. કદાચ કોઈ વ્યુત્ક્રમ થાય, તો પણ કોઈ નિયમ કે સિદ્ધાંતના આધારે થતો હોય છે. પ્રકૃતિ જગતના આ બધા પલટાઓ હકીકતમાં કોઈ સત્ના આધારે છે અને પરિવર્તનશીલ જગતમાં જ્ઞાનતંત્ર ખૂલે, તો સત્યના દર્શન પણ થાય છે.
પર્યાયની ક્રમિકતાનું કારણ પર્યાયનો એક ચોક્કસ ક્રમ તો થયો પરંતુ આ ક્રમના નિશ્ચયમાં અથવા આ ક્રમની રચનામાં કોઈ કારણ પણ હોવું જોઈએ. અકારણ ગમે તે રીતે આ ક્રમ ગોઠવાઈ શકતો નથી. આપણે અહીં આત્માની અવસ્થાઓની વિચારણા કરી રહ્યા છીએ. તે અવસ્થાના મૂળમાં જૈનદર્શન કર્મને કારણભૂત માને છે. આ કર્મ બીજ છે અને અવસ્થાઓ તે તેમાંથી અંકુરિત થયેલી લતાઓ છે. આ કર્મબીજ કાંટાવાળી લતાઓને પણ પેદા કરે છે અને મધુર
૧૯૭)