________________
સર્વનામ છે. દષ્ટિવાચક સર્વનામનો ઉપયોગ વકતા ત્યારે જ કરે છે જ્યારે તેમની નજર સામેની કોઈ ઘટના હોય છે. તો અહીં વિચારવું ઘટે છે કે ‘આ’ સર્વનામ કોના માટે છે?
કાવ્યમાં કે ભાષામાં કોઈ નામ માટે સર્વનામનો ઉપયોગ થાય છે. તેથી વિચારતા વર્તમાનકાળ અર્થનો શબ્દ જ બદલી જાય છે અને દૃષ્ટિ સામે જે સંપ્રદાયો, ધર્મગુરુઓ કે ધર્મને નામે પરિગ્રહની વ્યાખ્યા કરનારાઓ એવા મિથ્યાત્વથી ઘેરાયેલા જીવો છે, તે જીવોને સ્પષ્ટ રીતે ઉલ્લેખિત ન કરતા ‘આ’ શબ્દ કહીને તેમને સંબોધ્યા છે. અને તેઓ વર્તમાન છે, સામે છે એટલે વર્તમાન કાળ' એમ કહીને તેમને પરોક્ષ રીતે ઈશારો કરી તેમના વ્યકિતત્ત્વને જરાપણ ઠેસ પહોંચાડયા વિના તેઓના કારણે મોક્ષમાર્ગ બહુધા લુપ્ત થયો હોય તેવું મંતવ્ય રજુ કર્યું છે.
અહીં આપણે જરા વિચારશું કે એકાંત સ્વાર્થને વશીભૂત થઈ અથવા અજ્ઞાનના કારણે અથવા પારલૌકિક સુખ મળશે એવા હેતુસર કેટલાક વિપરીત ઉદ્ધોધન કરતા હોય છે. વસ્તુતઃ ધર્મનો લક્ષ વર્તમાન જીવનને સ્વચ્છ કરી જ્ઞાનમય બની પ્રત્યક્ષ મુકિતનો અનુભવ કરવો અને છેવટે દેહ લય થતાં જીવ પણ મુકિતગામી બને તે લક્ષ હોય છે. આ લક્ષથી વિપરીત જતા ધર્મ આડંબરથી, પરિગ્રહથી, અંધશ્રદ્ધાથી કે એવી કોઈ લાલસા ભરેલી સુખમય જીંદગી મળે એવા હેતુઓથી ધર્મ એક પ્રકારે પોતાના સ્વરૂપથી દૂર થઈ જાય છે. માટે ‘આ’ શબ્દ કહી જે કોઈ સામે છે તેમને પણ જાણે સાચો મોક્ષમાર્ગ સમજવા માટે આમંત્રણ અપાયું હોય તેવી સૂચના છે અસ્તુ.
- હવે અહીં આપણે “મોક્ષમાર્ગ' શબ્દ ઉપર વિચાર કરશે. આ બીજી ગાથામાં કવિરાજ આત્મસિદ્ધિનું જે મુખ્ય સાધ્ય છે તેમનો ઉલ્લેખ કર્યો છે. કોઈ પણ શાસ્ત્રમાં સંપૂર્ણ શાસ્ત્રનું લક્ષ શું છે ? નિશાન શું છે ? મુખ્ય સાધ્ય શું છે ? એ પ્રધાન વિષય હોય છે. શાસ્ત્રકાર આરંભમાં જ આ લક્ષનો ભાવ પ્રગટ કરે છે. અહીં પણ સંપૂર્ણ “આત્મસિદ્ધિનું લક્ષ એ “મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગમાં બે શબ્દો છે :- સાધ્ય અને સાધન, ધ્યેય અને ઉપાસના.
સાધ્ય સાધનની કડી : “મોક્ષ' તે સાધ્ય છે. અને શુધ્ધ માર્ગ તે તેનું સાધન છે. મોક્ષ તે ધ્યેય છે, માર્ગ તેની ઉપાસના છે. કવિરાજે બહુજ સિફતથી એક જ શબ્દમાં બન્નેનો ઉલ્લેખ કરી પ્રમાણશાસ્ત્રની દષ્ટિએ કે તર્કશાસ્ત્રની દષ્ટિએ બહુ સંયમપૂર્વક આ ભાવ પ્રગટ કર્યો છે, જે અતિ પ્રશંસનીય છે. સાહિત્યની દષ્ટિએ આવા ગૂઢ ભાવોને યોગ્ય શબ્દથી પ્રગટ કરવા તે વકતાની ઉચ્ચ કોટિની કુશળતાનું દ્યોતક છે.
મોક્ષ” – મોક્ષનો અર્થ મુકિત થાય છે. આ મુકિત ભાવ ઉપર આપણે અહીં ગંભીરતાથી વિચાર કરીશું. કોણ કોનાથી મુકત થાય છે? મુકિત સ્વતઃ થાય છે કે કોઈ મુકિત કરનાર છે ? મુકિત એ ઘણા જન્મો પછીની કોઈ સિદ્ધિ છે કે પ્રત્યક્ષ વર્તમાન સ્થિતિમાં પણ મુકિતનો અનુભવ થઈ શકે છે ? અર્થાત્ સાક્ષાત મુકિત થાય છે?
મુકિતના બે પ્રકાર છે. (૧) પારંપારિક મુકિત અને (૨) સાક્ષાત્ મુકિત. પારંપારિક મુકિત સહજ પ્રાપ્ત થનારી અવસ્થા છે. જ્યારે સાક્ષાતમુકિત તે પ્રબળ પુરુષાર્થનું પરિણામ છે. જીવ જો સાક્ષાત્ મુકિતનો અનુભવ કરે તો તે તેના પ્રબળ જ્ઞાનયોગથી કે નિર્મોહ દશાથી, ભયંકર કર્મોથી નિર્જરા થતાં પારંપારિક મુકિત પણ નિકટવર્તી થઈ જાય છે. ઘણા ઘણા જન્મો પછી મળે તે