________________
૯૦ આત્મવિશુદ્ધિ વખતે આ જીવ અમુક અમુક જાતના વ્રત, જપ, તપ, નિયમ, જ્ઞાન, ધ્યાનાદિના વ્રતો ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગ દ્વેષ, મોહાદિને પ્રગટ થવાનાં કારણો હોતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલાં કર્મોનો ઉપશમ કે ક્ષયોપશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મળતારૂપ આત્મબળ વધારે છે. આ વ્રતાદિ લેવાં તે મોહશત્રુની સામે કિલ્લો બંધ કરવા જેવાં છે. કિલ્લો બંધ કર્યાથી કાંઈ શત્રુ ચાલ્યો જતો નથી કે શત્રુનો નાશ થતો નથી, તેની સામે ખુલ્લી લડાઈ તો કરવી જ પડવાની છે, પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે મોહનો ઉપદ્રવ જીવને ઓછો હોય છે અને તે વખતમાં રાજા જેમ લડાઈની સામગ્રી મેળવી લે છે તેમ આ જીવ ઉપશમ ભાવનું બળ વ્રત, તપ, જપ, ધ્યાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલું બળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કર્મ ઉદયમાં આવે છે ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કર્મનો ઉદય નિષ્ફળ કરીને કર્મની નિર્જરા કરે છે. નવાં કર્મો ન બાંધવા અને જુનાં સત્તાગત ઉદય આવેલ કર્મો સમભાવે ભોગવી લેવાં તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા બરાબર છે.
પ્રભુ મહાવીર દેવની માફક કોઈ આત્મા વિશેષ બળવાન હોય તો તે ઉદય આવેલાં કર્મોને ભોગવી નિષ્ફળ તો કરે, પણ તે સાથે સત્તામાં પડેલાં કર્મોની ઉદીરણા કરીને જે મોડા ઉદય આવવાના હોય તેને તે તે નિમિત્તોવડે બહાર લાવી, સમભાવે ભોગવીને નિર્જરી નાખે છે. આવા સમર્થ