________________
ર૩.સામાયિકના પરિણામ = ઉપશમ આણો ઉપશમ આણો
આચારાંગસૂત્રમાં ગ્રંથકાર દર્શાવે છે કે સામાયિક એટલે આત્મા અર્થાત્ સામાયિક આત્માનો અંગભૂત ગુણ છે, તો પછી એવું શું બન્યું કે આત્મા અનાત્મપણે જીવતો આવ્યો? પૂર્વે અનંતવાર દુર્લભ એવો માનવજન્મ મળવા છતાં કંઈ પણ સાર્થકપણું કાં ન થયું? અથવા પરિભ્રમણ કાં ન ટળ્યું? બીજું કંઈ કારણ નથી, આત્મા જ આત્માને ભૂલી ગયો, ક્યાં ગયો? સ્વરૂપમાં રહેવાને બદલે દેહમાં અને વિષયોમાં તદાકાર બની ગયો. પરિણામે પરિભ્રમણ, દુઃખ, જન્મ-મરણ, શોક, સંતાપ અને ક્લેશ પામ્યો. - હવે જીવને આ પ્રશાંતભાવનું સ્થાન એવો સામાયિક પરિણામ પ્રાપ્ત થાય તો તેને પછી કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ડાયાબિટીસના દર્દીએ દેહના નેહ ખાતર મીઠાઈ-પકવાન આદિનો ત્યાગ કરવો પડે તેમ ભવરોગના દર્દીએ ઈન્દ્રિયોના લોભામણા પ્રલોભનો (પકવાન્ન)નો ત્યાગ કરવો પડે, તું દેહને રક્ષણ આપવા કંઈ પણ કરે તો તેમાંથી શાશ્વતપણું પ્રગટ થવાનું નથી. તો હવે એકવાર આત્મપરિચયી થા, તેનો નેહ કર. તેની જ રક્ષા કર. તું સ્વયં રક્ષિત થવાનો છું.
સમતા સ્વરૂપ આત્મામાં એકવાર ડૂબકી માર પછી જો તને સુખ ના મળે તો કોઈ સત્પુરુષ પાસે જજે. અરે ! પણ તને ત્યાં સુખ મળવાનું જ છે પછી શંકા શાને? હા. તારે તેને માટે વિષયો સાથેના પુરાણા સંબંધો ત્યજવા પડે. તારા જ સમતા અમૃતસાગરમાં જ તલ્લીન થઈ જા. પછી પેલા પૌલિક પદાર્થોના કોઈ રસ કે લાલસા પેદા નહિ થાય. છતાં કદાચ તારો ઉદય હશે અને તે પદાર્થોનો તને સંયોગ થશે તો પણ તે તેનો સાક્ષી બની રહેશે. અને તેમાંથી તારી સુખબુદ્ધિ છૂટી જશે.
સામાયિક પરિણામ દ્વારા તારામાં જ્ઞાનાદિ ગુણોનું ઉત્તમ સર્જન થયું પછી દર્શન મોહ જેવાં કારણોનું વિસર્જન થયું સમજજે. જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ તને સ્વાભાવિક સુખની પ્રાપ્તિ પ્રદાન કરશે. મોહજનિત સુખાભાસથી તું મુક્ત થઈશ. ઉપશમભાવનો સ્વામી થઈશ.