________________
કાળનો બોમ્બ પડશે ત્યારે શું બનાવશો ? કોનું શરણ લેશો ? ત્યારે મૂંઝાવું તેના કરતાં વેળાસર ચેતી જવું અને ધર્મનું શરણ ગ્રહણ કરવું. ઘણી સાધનસામગ્રી છતાં, ચારે બાજુ ઘણા લોકોનો પરિચય છતાં જીવ કેમ ભૂંઝાય છે ! એનું હૃદય રિક્ત કેમ છે ! તેને ભરવામાં શું ખૂટે છે ? કાચી માટીના કોડિયામાં તેલ, દિવેટ પુરાય અને જ્યોતની આંચ મળતાં પ્રકાશી ઊઠે છે. ભાઈ તારા આત્મામાં જ્ઞાન ક્રિયાનો યોગ છે તેમાં સદ્ગુરુના બોધરૂપી જ્યોતની આંચ આપે જીવનનો શૂનકાર ટળી જશે. તું સમષ્ટિને ચાહતો થઈ જઈશ. આવા શૂનકારને દૂર કરવાનું બળ સામાયિકવ્રતમાં પણ રહેલું છે.
સામાયિક એટલે ઉપયોગની શુદ્ધિ. સાવધયોગોનો પરિહાર. નિરવધયોગનું સેવન.
યોગ : મન, વચન, કાયા, જે પૌલિક સાધનો છે. દેહમાં રહેલા આત્માને જ્યારે પુદ્ગલના સંયોગથી વિશેષ સ્ફૂરણા થાય છે, ત્યારે આ ત્રણે સાધનો યોગ કહેવાય છે. તે દ્વારા જે પ્રવૃત્તિઓ થાય તેમાં પરિણામની શુભ કે અશુભ ધારા પ્રમાણે તે યોગો શુભ કે અશુભ ગણાય છે. એ યોગો જ્યારે સાંસારિક ભાવથી પ્રવર્તે ત્યારે સાવધ ક્રિયા યુક્ત હોય છે. તે અશુભયોગ છે એ યોગો જ્યારે આત્મલક્ષ્યના હેતુમાં સહાયક થાય છે ત્યારે શુભયોગ ક્રિયાયુક્ત હોય છે તેમાં શુભાશુભ આશ્રવ થાય છે.
ઉપયોગ : આ યોગ સાથે આત્માનો ઉપયોગ જોડાય છે. વાસ્તવમાં જ્ઞાનસ્વરૂપ ઉપયોગ ક્રિયાદિને જાણે છે. પરંતુ મોહનીય કર્મયુક્ત ઉપયોગ તે તે યોગમાં જોડાય છે. ત્યારે તે ઉપયોગ શુભ કે અશુભપણે પ્રવર્તે છે. સામાયિક - સમભાવપણે પ્રવર્તતો ઉપયોગ ચારિત્રશુદ્ધિનું નિર્માણ કરતો યથાખ્યાત ચારિત્રરૂપે પરિણમે છે ત્યારે પૂર્ણજ્ઞાનને પ્રગટ કરે છે, ત્યારે યોગોનું અસ્તિત્વ હોવા છતાં કષાયયુક્ત પરિણામ - ઉપયોગ ન હોવાથી ઈર્યાપથ આશ્રવ જ્ઞાનીને બંધન કરતા નથી.
આમ યોગ શુભાશુભ આશ્રવનું કારણ છે. “કાયાવાડ્મનઃ કર્મ યોગઃ સ આસવઃ” - તત્ત્વાર્થાધિગમ
સામાયિકની ફળશ્રુતિ યોગોનો વિરામ અને ઉપયોગની જાગૃતિ
૪૩