________________
૮. અહિંસાની ઉપાસના : અહિંસા સર્વ જીવ પ્રત્યેનું વાત્સલ્યદર્શી તત્ત્વ છે. અહિંસારહિત માનવ પશુતામાં આવશે. બાહ્ય અહિંસા જીવમાત્ર પ્રત્યે દયા, કરુણા, અનુકંપા, વાત્સલ્યના ભાવનું સદાચરણ છે. ભાવ અહિંસા - અંતરંગ અહિંસા, રાગદ્વેષ રહિત આત્માની નિજી સંપત્તિ છે. શુદ્ધ અવસ્થા છે. એ અહિંસાની ઉપાસના સમભાવથી થાય છે, સર્વ જીવો સુખી થાઓ. કોઈ દુઃખ ન પામો એવી ભાવના નિરંતર કરવી. સંયમ અને તપ અહિંસાની ઉપાસનાનાં જ અંગો છે. અહિંસા સંયમ અને તપ ત્રણે મળીને ઉપાસના બને છે.
વૃત્તિઓને ભોગવતો હોવાથી માનવ એ વૃત્તિઓને જ પોતાનું સ્વરૂપ માની લે છે. તેથી સ્વસ્વરૂપને જાણી શકતો નથી અથવા માને છે કે સ્વરૂપ જેવું કંઈ નથી જે કંઈ છે તે આ વૃત્તિમય છે. તેથી વાસ્તવિક સ્વરૂપનું વિસ્મરણ છે. અને અસત્ મિથ્યાચરણ સેવન વાસ્તવિક લાગે છે.
નિત્ય પરિવર્તન પામતા વ્યવહારને જાણે છે. પરિણામ મન, બુદ્ધિ, ઈન્દ્રિયોના વિષયોને બદલાતા જૂએ છે. છતાં તેની સમજમાં આવતું નથી કે આ બદલાતી અવસ્થાઓ હું નથી. જે બદલાય છે તે મારાથી ભિન્ન છે, વિજાતિય છે. અરે! સંપૂર્ણ સંસાર બદલાઈ જાય તો પણ સ્વરૂપ તો એવું જ અખંડપણે જ રહે છે. આ શ્રદ્ધા જો દઢ થઈ જાય તો જીવ મુક્ત છે.
માટે એવા તત્વજ્ઞના સંપર્કમાં આવતો જન કે જન સમુદાય પણ ગત થઈ સ્વરૂપ લક્ષ કરે છે. તે તત્ત્વજ્ઞ-સમદર્શી લોક સંપર્કમાં હોવા છતાં જ્ઞાતા જ રહે છે. તેમને સર્વ પ્રાપ્ત જ છે કશું મેળવવાનું નથી.
સામાન્ય માનવ વૃત્તિઓથી જૂના સંસ્કારથી બહાર નીકળતો નથી તે કર્મચક્રમાં ફસાઈ જાય છે. તેમાંથી છૂટવાનો એક જ ઉપાય છે સહજ ધ્યાન, અવસ્થાનું જાગરણ.