________________
સામાયિકથી અનુભવેલું કંઈક પ્રસ્તુત સામાયિક ગ્રંથનું લેખન કરતાં પ્રાજ્ઞ પુરુષના અનુભવ, શાસ્ત્રકથન, સામાયિક ધર્મનાં રહસ્યો, સામાયિકયોગનો ગૂઢાર્થ, પૂજ્ય આચાર્યશ્રીનું માર્ગદર્શન વગેરેના અવલંબને ખૂબ જાણવા અને માણવા મળ્યું. ત્યારે એક વિચાર આવ્યો કે દેવગુરુ અનુગ્રહ સામાયિક સુધી પહોંચાયું. અર્થાત્ સામાયિક આત્મસાત્ થયું તેમ કહેવું તે આત્મશ્લાધા નથી પણ એક આંતરિક આનંદ છે, જે સૌની સાથે વહેંચવો છે.
લગભગ ૭૫ વર્ષ પહેલાં વડીલ દ્વારા સામાયિકનો પ્રારંભ થયો, પણ નવકારમંત્ર સિવાય અન્ય કોઈ સૂત્ર ન આવડે. ન સામાયિક લેતા કે ન પારતા આવડે. ભારે સંકોચ થયો અને કંઈક અણગમો પણ થયો. પરંતુ ગ્રંથકારોએ ઉચ્ચ-સંસ્કારી કુળનો મહિમા કહ્યો છે, તે ઘણા સમય પછી સમજાયો કે કુળના સંસ્કારથી આવા યોગ મળે છે, તે સમય જતાં વિકસે છે. શિશુવયમાં પાઠશાળામાં સૂત્રોનો અભ્યાસ કરેલો પણ કોઈ અનુષ્ઠાનનો મહાવરો ન હતો પુણ્યયોગે શ્વસુરપક્ષે જિનપૂજા, સામાયિક નાના વ્રત તપનો યોગ થયો.
ઘરમાં વડીલો સૌ સામાયિક કરે, એટલે પણ સામાયિક થતું રહ્યું. પછી સૂત્ર અને અર્થ કંઠસ્થ કર્યા, ત્યારે મનમાં સામાયિક પ્રત્યે કંઈ રુચિ થઈ. અણગમો ગયો. સમયની દૃષ્ટિએ અવકાશ ઘણો હતો. એટલે ધર્મકથાનું વાચન, સ્તવન, પ્રતિક્રમણનાં સૂત્રો કંઠસ્થ કરવાનો ઉત્સાહ થયો. તે અભ્યાસના સંયોગો પણ મળી ગયા. આથી સામાયિકનો સમય રસપ્રદ બન્યો.
વળી નિવાસે, દહેરાસર હોવાથી અવારનવાર પૂ. આચાર્યશ્રી અને સાધુજનોનું આગમન થતું. વ્યાખ્યાનનો લાભ મળતો, આથી ધર્મક્રિયાની ભાવના વૃદ્ધિ પામી. દેવ-દર્શન-પૂજન વગેરે થતાં રહ્યાં.
સામાયિક અનુષ્ઠાનના માધ્યમથી અને અન્ય અભ્યાસ માટે સાધુમહારાજના આદેશથી પ્રથમ પંદર પખ્તા' શરૂ કર્યા, પખા એટલે પંદર સામાયિક લગાતર કરવાના, ચૌદ થાય અને શરીરે અસુખ હોય કંઈ વ્યવહારિક કારણ હોય ત્યારે કસોટી થતી પણ પંદર પખ્ખા એક વર્ષે બરાબર પૂર્ણ થયા.
૧૯૪