________________ અમદાવાદ-રાજનગરથી શરૂ થઈ આફ્રીકા, લંડન અને અમેરીકા અને સારા વિશ્વના “આનંદસુમંગલ પરિવાર’ના સર્વ સભ્યોને પ્રેરણા અને માર્ગદર્શન આપી શુદ્ધ ધર્મમાં જોડનાર અમારા સૌના “બહેન”ને અમારા કોટિ કોટિ વંદન. અમેરિકામાં ઓરલાન્ડોમાં આપશ્રીની 1991 થી 2004 સુધીની અમેરીકાની સત્સંગ યાત્રા દરમ્યાન અઠવાડીયાંના રહેવાસ માટેનો અમને લાભ આપવા માટે આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે અમારા જેવા થઈને રહેતા ત્યારે અમને કલ્પના પણ નહતી કે આપશ્રી હિમાલય જેવી ઉંચાઈ અને સાગર જેવી ઉંડાઈ (Depth) પણ ઓછી પડે તેટલા ગુણોના ધારક છો. આપશ્રીની જીવનના તારણ સમુ “મારી મંગલયાત્રા” પુસ્તકના સર્વ વાચકો હવે જાણે છે કે અમારી સાથે અમારા જેવા થઈને રહેતા આપણા “બહેન” કેટલા મહાન છે. | નાનપણથી જ “ધ્યાન” પ્રત્યે અમને ખૂબ આકર્ષણ રહેલ છે. તે વિષે જાણવા માટે, શીખવા માટે અને આત્મા સુધી પહોંચવા માટે ઘણા ઘણા પુસ્તકો વાંચતા આપશ્રીનું ૧૯૬૨માં લખાયેલું પુસ્તક “ધ્યાન એક પરિશીલન' હાથમાં આવ્યું અને લાગ્યું કે અમારી મંઝીલ મળી ગઈ. આ પુસ્તકને 93 વર્ષની ઉંમરે આપશ્રીના આટલા વર્ષોના જ્ઞાન, ધ્યાન અને સમાધિના અનુભવ સાથે ફરી પ્રકાશિત કરવા માટે આપશ્રીનો ખૂબ ખૂબ અંત:કરણથી આભાર. વળી આ પુસ્તક પ્રકાશનની પ્રેરણા કલ્યાણ મિત્ર કમલેશભાઈ બચુભાઈ શાહ તરફથી મળી છે. અમદાવાદમાં આપના નિવાસે સપ્ટેમ્બર ૨૦૧૪માં આપના દર્શન કર્યા ત્યારે આપશ્રી ૧૯૯૨માં પ્રથમવાર ઓરલાન્ડો એરપોર્ટ પર પ્રગટ થયા હતા તેવાજ લાગતા હતા. આપનું નિયમિત જીવન, આ ઉંમરે પણ સવારે પાંચથી રાત્રીના 11 વાગ્યા સુધી કામ કરવાની શક્તિ, દિવસ દરમિયાન દર્શન, પુજા, સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન, વાંચન, લેખન અને અમારા જેવા જિજ્ઞાસુઓને સ્વાધ્યાય અને માર્ગદર્શન આપવાની તત્પરતા...આ સર્વે આવાજ રહો તેવી પ્રાર્થના. ધર્મઅભિલાષી દીપક અને ધર્મી શાહ ઓરલાન્ડો, ફલોરીડા, U.S.A. આત્માની શુદ્ધ અવસ્થા એ જ મોક્ષ છે; અને અશુદ્ધ અવસ્થા તે સંસાર છે.” (પેજ-૨૭૨, વિભાગ-૧૦, “પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં” “મારી મંગલયાત્રા”-સુનંદાબહેન વોહોરા)