SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત ગ્રંથની ટીકા વિસ્તૃતપણે વિવિધ વિષયો દ્વારા કરેલી છે. જિજ્ઞાસુ સાધક તેના અભ્યાસ વડે ધ્યાનમાર્ગમાં આત્મકલ્યાણના સંસ્કારને સ્થાયી કરી શકે તે માટે ખૂબ ઉપયોગી છે. ગ્રંથરચના ગહન છે છતાં અત્રે ફકત ગ્રંથનો મહિમા અને પરિચય આપ્યો છે. ધ્યાનાંતર દશામાં ઉપયોગી બાર ભાવના સાધક ધ્યાનથી ચલિત થાય ત્યારે ભાવનાનું અવલંબન લે છે. જ્ઞાનીજનોએ ધ્યાન માટે ઉત્તમ ભાવનાઓનું નિરૂપણ કર્યું છે. આ ભાવનાઓનું દીર્ઘકાળ સુધી પુનઃ પુનઃ ચિંતન કરવામાં આવે તો આત્મશક્તિ વિકાસ પામે છે. ચિત્ત વૈરાગ્યમય થાય છે. અધ્યાત્મ પરાયણતા વૃદ્ધિ પામે છે. તેની ફળશ્રુતિમાં જીવ ધ્યાનનો ધ્યાતા બની કર્મમળનો નાશ કરે છે. આ ભાવનાઓનું ચિંતન તે ધ્યાનનો/અનુપ્રેક્ષાનો પ્રકાર છે. એકાંતમાં સ્થિર આસને, શાંત અને પ્રસન્નચિત્તે ત્રણ નવકાર ગણી પ્રભુસ્તુતિ કરીને નીચેની ભાવનાઓનો પ્રારંભ કરવો. ૧. અનિત્યભાવના : હે આત્મા ! તને જે દશ્ય અને સ્પર્શાદિ કે ઈદ્રિયગોચર જણાય છે તે સર્વ પદાર્થો અનિત્ય, અસ્થિર અને ક્ષણિક છે. જે દેહાદમાં તને મમત્વ થાય છે, તે સર્વ ક્ષણિક છે. સંસારના સર્વ સંબંધો વિનશ્વર છે. હે જીવ ! તું વિચાર કર તને પ્યારો લાગતો આ દેહ, પ્રિય લાગતા વૈભવ, ધન અને માન પણ ટકવાના નથી. કુટુંબ પરિવાર સૌ સ્વપ્નવત્ છે. આજે ખીલેલાં પુષ્પો કાલે કરમાય છે. ભોજનાદિ વિષ્ટારૂપ બને છે. યૌવન વૃદ્ધત્વને પામે છે. આયુષ્ય તો ક્ષણે ક્ષણે ઘટે છે. એવા અનિત્ય પદાર્થમાં હે જીવ ! તું કેમ રાચે છે ! તું તો નિત્ય અને શાશ્વત છું અને કેવળજ્ઞાન સ્વરૂપ શુદ્ધ અચિંત્ય તત્ત્વ છું. અને જગત ! કેવું પરિવર્તનશીલ ? જન્મ-મૃત્યુમાં, ભોગ-રોગમાં, દિવસ-રાત્રિમાં, મિષ્ટાન-વિષ્ટામાં પરિવર્તન પામે છે. ત્યાં શું રાચવું ? માટે એક નિત્ય અને ધ્રુવ આત્મતત્ત્વમાં સ્થિર થા. એની જ ભાવના કર. ૨૦૬
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy