________________
૪૯
ઉન્નતિની પ્રક્રિયા શરૂ થાય. ડાર્વિનનો સિદ્ધાંત માત્ર ભૌતિક કક્ષાએ હતો. આપણો સિદ્ધાંત આધ્યાત્મિક કક્ષાએ રચાયેલ છે. માનવભવ પ્રાપ્ત થયા પહેલાં વ્યક્તિગત આત્મા એકથી બીજી કક્ષા પર પ્રગતિ કરી વધુ ને વધુ ઈન્દ્રિયો પ્રાપ્ત કરતો જાય છે.
પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને અગ્નિના જીવો પાસે માત્ર સ્પર્શની જ ઈન્દ્રિય હોય છે. જીવ જેમ પ્રગતિ કરતો જાય તેમ સ્પર્શ ઉપરાંત સ્વાદ ઊમેરાતાં, તે બે ઈન્દ્રિય જીવ બને છે, પછી ગંધની ઈન્દ્રિય ઉમેરાતાં તે ત્રણ ઈન્દ્રિયવાળો બને છે, દૃષ્ટિ મળતાં ચાર ઈન્દ્રિયવાળો અને છેલ્લે શ્રવણની ઈન્દ્રિય ઉમેરાતાં તે પંચેન્દ્રિય જીવ બને છે.
પછી તે આદિવાસી, બુદ્ધિશાળી અને જાગ્રત માનવ બની આત્માનો ઉત્તરોત્તર વિકાસ સાધે છે. આપણે “હું છું”થી શરૂઆત કરી, “હું કોણ છું ?” પૂછીએ છીએ. ઉત્ક્રાન્તિમાં માનવનું આ પ્રથમ પગથિયું છે. આ વિવેક પશુ અને માનવ વચ્ચેનો ફરક સમજાવે છે.
આપણે માનવભવમાં શા માટે આવ્યા છીએ ? શું આપણે માત્ર આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લોભ, લોક અને ઓઘસંજ્ઞાની ગુલામી કરવા ‘આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠાં ?” સમજી વિષયભોગના જંતુ બનવા આવ્યા છીએ ? માનવજીવન દુર્લભ છે. તેની એક એક ક્ષણ અમૂલ્ય છે. તેને આવી રીતે વેડફી નાંખવાની ! આ ક્ષણોનો વધુમાં વધુ સદુપયોગ ઉપયોગ અને જાગૃતિમાં કરવાનો છે.