________________
૪૭
તેમાં સર્જનાત્મક વિચારો ભરવામાં આવે તો આત્મશુદ્ધિનું કાર્ય બહુ સરળ બને.
જ્ઞાન વિના આચરણ કેમ થાય? રોગના નિદાન વિના ઈલાજ કેમ થાય? અને ઈલાજ વિના રોગ કેમ જાય? અને રોગ ન જાય ત્યાં સુધી નીરોગી કેમ બનાય ? આ પ્રક્રિયા માટે મનને ધ્યાનના પ્રકાશથી ભરી, આપણી વિચારણામાં પડેલ કાણાં-જ્ઞાન, સમજ અને અનુભવથી ભરવાં પડશે.
એક વખત લેશમાત્ર શંકા વિના તમને શ્રદ્ધા થઈ જાય કે તમારી અંદર જ સૌન્દર્ય, સત્ય, શકિત અને સુખનું સમગ્ર વિશ્વ રચાયેલું છે, ત્યારપછી તમારા આત્માની અનંત શકિત પ્રગટાવી શકશો. જે તમારું છે તે તમારું બની બહાર પ્રગટ થશે.
* * *