________________
શ્રી વીશસ્થાનક તપ
૯૮
પોતાના પદ્મશેખર નામના પુત્રને રાજ્ય આપી, પોતાની સ્ત્રીઓ સહિત તેણે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે અગીયાર અંગ ભણ્યાં. એક દિવસ ગુરુના મુખે વૃદ્ધની ભક્તિનું માહાત્મ્ય સાંભળ્યું. “વય, પર્યાય અને સૂત્રાર્થથી વૃદ્ધ હોય તથા તપસ્વી હોય તેવા મુનિની નિષ્કપટભાવે કરેલી ભક્તિથી આત્મા ઉચ્ચગોત્રનો બંધ તથા તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે” આ પ્રમાણે ગુરુમુખે સ્થવિરની ભક્તિનું માહાત્મ્ય સાંભળી તે રાજર્ષિ મુનિએ ‘જીવું ત્યાં સુધી જ્યેષ્ઠ અણગારની ભક્તપાનાદિ વડે ભક્તિ કર્યા પછી ભોજન કરવું.' આવો અભિગ્રહ ધારણ કર્યો. નિરન્તર વૃદ્ધ સાધુઓની તે ભક્તિ કરવા લાગ્યા. સર્વ યતિજનો તેની પ્રશંસા તથા આદર કરવા લાગ્યાં.
એક દિવસ દેવસભામાં ઈન્દ્રે તે રાજર્ષિ મુનિની પ્રશંસા કરી. રત્નાંગદ નામના સમ્યગ્દષ્ટિદેવે તે પ્રશંસાની પુષ્ટિ કરી. બીજા મિથ્યાદ્રષ્ટિ હેમાંગદ દેવે તે માની નહીં. તે બે દેવો મનુષ્યરૂપ ધારણ કરીને રાજર્ષિ મુનિની પાસે આવ્યાં મિથ્યાદ્દષ્ટિ દેવે તપસ્યા કરી નિર્મળ જળ વડે સ્નાનથી પવિત્ર થતાં તેમ જ અરણ્યમાં રહેતા એવા સંન્યાસીઓની પ્રશંસા કરી અને આવા શૌચાચાર રહિત, બાહ્ય રીતે મલિન દેખાતાં એવા જૈન સાધુઓની નિંદા કરી. ત્યારે બીજા દેવે ક્ષમાદિગુણોથી યુક્ત જૈન સાધુઓની પ્રશંસા કરી. આ પ્રમાણે એકની નિંદા અને બીજાની પ્રશંસા સાંભળ્યા છતાં તે બન્ને ઉપર રાજર્ષિમુનિને સમભાવ ધરી રહ્યાં. પછી તે બે દેવો પોપટ યુગલનું રૂપ કરીને એક શિવપંથી તપસ્વી પાસે ગયા અને તેની નિંદા કરી. તપસ્વીએ ક્રોધ લાવી તે સુડાને પકડીને મારી નાંખ્યો. રત્નાંગદેવે હેમાંગદદેવને જૈન અને શિવપંથનો તફાવત સમજાવ્યો. તો પણ અશ્રદ્ધાથી હેમાંગદદેવ દેવમાયાથી રાજર્ષિને ઉપસર્ગો કર્યા. ઉપસર્ગથી મુનિ ચલિત થયા નહીં. અંતે ક્ષમા યાચી દેવો સ્વસ્થાને ગયા. પદ્મોત્તર મુનિએ સ્થવિરોની સેવા વડે શ્રી તીર્થંકર નામકર્મ બાંધ્યું. અનુક્રમે પદ્મોત્તરમુનિ કાળધર્મ પામી મહાશુક્ર દેવલોકમાં દેવ થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામી અનંત અવ્યાબાધ એવા મોક્ષસુખને પામશે.
ઉપાધ્યાયપદ વિષે મહેન્દ્રપાલની કથા
આ ભરતક્ષેત્રમાં સોપારક પટ્ટણ નામે નગર હતું. ત્યાં મહેન્દ્રપાલ રાજા રાજ્ય કરતો હતો. સદ્ગુરુ યોગથી વંચિત એવો તે મિથ્યાદર્શનના યોગથી તે