________________
કથાઓ
૯૦
પત્ની છે. મારા શત્રુ વજદાહ વિદ્યાધરે તેનું હરણ કર્યું. મને ખબર પડતાં તેની સાથે સંગ્રામ કરીને મારી સ્ત્રીને છોડાવીને હું અહીં આવ્યો છું. આપ વીર છો. પરનારી સહોદર છો. તો હું મારા વૈરીને જીતીને પાછો આવું. ત્યાં સુધી મારી સ્ત્રીનું રક્ષણ કરજો. એમ કહી તે આકાશમાં ઉડી ગયો. થોડીવારે આકાશમાંથી કપાયેલા બે ચરણો રાજસભામાં પડ્યાં, પછી બે ભુજાઓ પડી. એમ ક્રમસ૨ કપાયેલા અવયવો પડતા ગયા તે જોઈને પેલી વિદ્યાધરની સ્ત્રી પોતાના પતિના તે અવયવો છે એમ કહી તીવ્ર રૂદન કરવા લાગી. પછી રાજા તથા પ્રજાએ ઘણું વારવા છતાં તે સ્ત્રી પોતાના પતિના અવયવોના અગ્નિસંસ્કારની સાથે બળી મરીને સતી થઈ. રાજા તથા પ્રજા શોકમગ્ન બની ગયા. ત્યાં તો આકાશમાંથી પેલો (ઇંદ્રજાલિક) વિદ્યાધર ઉતર્યો. રાજાને પ્રણામ કરીને કહ્યું કે આપના પ્રતાપથી મેં મારા શત્રુનો નાશ કર્યો છે. હવે મારી સ્ત્રી મને પાછી આપો. રાજાએ બધો બનાવ કહ્યો. તો તે વિદ્યાધરે રાજા ઉપર પોતાની સ્ત્રી પડાવી લીધાનો આક્ષેપ કર્યો. રાજા ઘણો ખેદ પામ્યો. અંતે સર્વ લીલા સંહરી લઈને તે સ્ત્રી સહિત વિદ્યાધર પ્રગટ થયો અને કહ્યું કે આ બધી ઈન્દ્રજાળ છે. અસત્ય છે. હે રાજેશ ! તમને પ્રતિબોધ કરવા માટે જ મેં આ સર્વ કર્યું છે. ઈન્દ્રજાળની જેમ જ આ સર્વ રાજ્ય, લક્ષ્મી, મનોહર સ્રીઓ બધુ જ નાશવંત છે. માટે તેનો ત્યાગ કરવા યોગ્ય છે. રાજાએ તેને કરોડ સોનૈયા આપી ખુશ કરી વિદાય કર્યો.
બીજે દિવસે ઉદ્યાનમાં દેવપ્રભ નામે આચાર્ય ઘણાં શ્રમણો સહિત પધાર્યા. રાજા વંદનાર્થે આવ્યો. રાજાએ ગુરુભગવંતને પૂછ્યું કે આ વિશાળ રાજ્ય, મનોહર સ્ત્રીઓ વિસ્તીર્ણ પ્રતાપ હું કયા પુણ્યપ્રભાવથી પામ્યો છું ? ગુરુએ કહ્યું. હે નૃપતિ ! તું પૂર્વભવમાં નંદનપુર નગરમાં શંખનામે શ્રેષ્ઠીને ત્યાં નંદન નામે દાસ હતો. એક વખત તું મનોહર કમળ લઈને શ્રેષ્ઠીના ઘરમાં જતો હતો. તેવામાં કોઈ ચાર કુમારિકાઓએ કમળ જોઈ કહ્યું આ સુંદર કમળ તો ખરેખર જિનેશ્વરની પૂજાને જ યોગ્ય છે. તેથી હર્ષ પામીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી અત્યંત ભાવપૂર્વક તે કમળ વડે દેવાધિદેવ પરમાત્માની પૂજા કરી. પેલી ચાર કન્યાઓએ તારી પૂજાની અનુમોદના કરી. ભાવપૂર્વક કરેલી ભગવંતની પૂજા અનેક ઉત્તમ ફળને આપનારી છે. તે પુણ્યના પ્રભાવે તું રાજા થયો અને તે ચાર બાળા સ્ત્રીઓ થઈ.
ગુરુવચન સાંભળી નૃપતિને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે સંવેગ પામ્યો.