________________
શ્રી ઋષભદેવજી
36
કષાયરહિત, નિષ્કષાય, વીતરાગ થાય ત્યારે તે વક્રતા છોડી સીધી લીટી-રેખા જેવો માયાકપટ રહિત સરળ આનંદનો નક્કર (Solid-Non porous) ઘન (પિંડ) બને છે. એમાં અન્ય કશાને પ્રવેશને અવકાશ જ નથી કારણ કે તે છિદ્રરહિત નક્કર આનંદઘન છે.
આવી અંતિમ સિદ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સદા સર્વદા સર્વ પરિસ્થિતિમાં ચિત્તની પ્રસન્નતા જાળવી રાખી, આપણો આત્મા નિષ્કપટ ભાવે સરળતાથી આનંદઘન (પરમાત્મ) પદ પ્રાપ્તિ માટે વાંકોચૂકો કે આડોઅવળો ફંટાયા વિના સીધે સીધો (આનંદઘન પદ રેહ-) ભગવાનના માર્ગે ચાલતો રહે તે જ પૂજાની અખંડિતતા છે. સર્પ પોતાના દરમાં સીધો થઇને સરકે છે.
આત્મા સીધી ગતિ કરે તો તેના આત્મઘરમાં પ્રવેશી શકે. અર્થાત્ સીધી ગતિ – સિદ્ધ ગતિ કરે તો સમશ્રેણિએ સિદ્ધશિલા ઉપર લોકાગ્ર શિખરે સિદ્ધપદે-પરમપદે બિરાજમાન થાય !
સહુ કોઈ વક્રતાનો અને જડતાનો ત્યાગ કરી ઋજુ અને સરળ બની સીધા ચાલી સિદ્ધગતિએ સિદ્ધપદે બિરાજમાન થાય એજ અભ્યર્થના!
જ્યાં ગુણની સહજતા-સરળતા-સાતત્ય ત્યાં ગુણકાર્યની વ્યાપકતા.