________________
શ્રી શીતલનાથજી 372
પોતાના દેહ ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા ત્યારે ‘‘હું આત્મા, નિત્ય, દેહથી ભિન્ન’ની સમ્યગ માન્યતામાં દૃઢ થઈ દુ:ખકાળે ભીતરનો સમાધિભાવ ટકાવી રાખી દુઃખની અસરથી મુક્ત રહી આશ્રવ-નિરોધપૂર્વક કર્મનિર્જરા કરી તે ભગવંતની દુ:ખ પ્રત્યેની ખીજ નહિ પણ રીઝ જ હતી. કારણ કે દુઃખને દુઃખનું કારણ બનાવી દુઃખ પરંપરા ઊભી ન કરતાં દુઃખને શાશ્વત સુખનું કારણ બનાવ્યું. વેદે દુ:ઘુમ્ મહાત''નું સૂત્ર અપનાવી ભગવંતે કર્મોને પડકાર્યા અને પટક્યા. સ્વેચ્છાએ પરિષહોને અભિગ્રહાદિથી સ્વીકાર્યા અને સામે ચાલીને અનાર્યદેશમાં જઈ ઉપસર્ગોને આવકાર્યા. પુણ્યકર્મના ઉદય પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરી નિર્લેપ રહ્યાં પણ પાપકર્મોની તો ઉદીરણા કરી કરીને સર્વ પાપનો નાશ કરી સર્વોચ્ચ એવા અરિહંતપદે બિરાજમાન થયા. તીર્થંકર નામકર્મના વિપાકોદયમાં, સંસારના સર્વોચ્ચ પરમ ઐશ્વર્યની વચ્ચે પણ, વીતરાગ-નિર્લેપ રહ્યા તે ભગવંતની ઉદાસીનતા - વૈરાગ્યની પરાકાષ્ટા હતી. “વિ જીવ કરું શિવ’’ની એમની ભાવનાને ચરિતાર્થ કરવા સહિતની એ અઘાતીકર્મોની સહજયોગે થતી કર્મનિર્જરા જ હતી.
પર, જડ, વિનાશી, નશ્વર એવા પુદ્ગલ પરમાણુના બનેલા દેહ પ્રત્યે એમની તીક્ષ્ણતા-કઠોરતા તો એટલે સુધી હતી કે, બળતા દેહને દાહથી બચાવવાની, ઠારવાની કે પછી ઠરી જતાં દેહને વસ્ત્રાદિથી હુંફ આપવાની લેશ માત્ર કાયચેષ્ટા કરી નહિ. દેહના બળવા છતાં, ઠરવા છતાં, છેદાવા-ભેદાવા-ટીપાવા-પીસાવા-છોલાવા-કપાવા છતાં પોતાના દેહની કોઈ કાળજી ન લેતાં, આત્મામાં ઠરવાપૂર્વક દેહના તો તેઓ માત્ર દૃષ્ટા જ બની રહ્યા અને આંતરિક આત્માનંદમાં વર્ધમાન થતાં રહ્યા. ક્યારેય ઉદ્વેગ પામી આર્તધ્યાનમાં સરકી નહિ પડતા, સમાધિભાવમાં રહી, ધર્મધ્યાનમાં સ્થિર થઈ શુક્લધ્યાનના શિખર તરફ આરોહણ કરતાં રહ્યા.
જ્ઞાયકભાવ એ થડ છે જ્યારે પર્યાય એ ડાળ પાંખડા છે. થડ પકડાયું હશે તો વિકાસ ઝડપી થશે.