________________
285
હૃદય નયન નિહાળે જગધણી 卐
ભવિતવ્યતા જ તેવા પ્રકારની છે. જે ભાગ્યશાળી જીવ બહાર નીકળે છે, તે બહુલતયાએ ક્રમિક વિકાસ સાધતો સાધતો ભવ્ય હોય તો મોક્ષ પામી સિદ્ધપદે બિરાજે છે. અભવ્ય હોય છે તે જીવ મોક્ષ તત્ત્વને માનતો નથી. એટલે મોક્ષ માટેની તેની રૂચિ પણ નથી હોતી અને પ્રયત્ન પણ નથી હોતો. તેથી તેવા અભવ્યના જીવનો કદી મોક્ષ થતો નથી. એને અનાદિની અનંતકાળની ભટકામણ-ભવભ્રમણ હોય છે અને તે અનંતકાળ સુધી ચાલુ ને ચાલુ જ રહે છે.
નદીગોળપાષાણ ન્યાયે જીવ અકામ નિર્જરા કરતો કરતો ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા બાદ જ્યારે સંસ્કાર યુક્ત માનવના ખોળિયાને મેળવે છે, ત્યારે જ તે જીવને વિચારશક્તિની સાથે વિચારવિનિમય થઈ શકે એવા શ્રુત- ભાષાનો યોગ થાય છે. એ શ્રુતના બળે જ એની મતિનો વિકાસ થાય છે. પછી જ તે સકામ નિર્જરા પણ કરતો થાય છે. કર્મની ૭૦ કોટાકોટીની ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ ઘટતી ઘટતી એક કોટાકોટીથી કંઇક ન્યૂન થાય છે, ત્યારે તે જીવને ધર્મ કરવાની એટલે કે આત્મવિકાસની સામગ્રી મળે છે. આ જ બતાવે છે કે કેટલાં બધાં દીર્ઘકાળ પછી, કેટલાં બધાં કર્મોની અકામ નિર્જરા પછી બહુ બહુ પુણ્યરાશિ ભેગી થાય છે, ત્યારે જીવને ધર્મસામગ્રીના દર્શન થાય છે. નામ-સ્થાપના-દ્રવ્યનિક્ષેપાથી ભગવાન મળે છે. હવે આ મળેલાં સાધનોમાં ભાવ ભળે છે તો સાક્ષાત્ ભાવસ્વરૂપે વિદ્યમાન ભગવાનનો ભેટો થાય છે, કે જેના આલંબને સ્વયં ભગવાન થવાય છે. અથવા તો, સ્વયંના ભાવો એવા પરાકાષ્ટાના થાય છે કે, માત્ર સાધનોથી જ ઉત્કૃષ્ટ સાધના ભક્તિ કરી સ્વયંસિદ્ધ થઇ જાય છે.
આ ભવભ્રમણ એટલું બધું દીર્ઘકાલીન છે અને એટલું બધું કલ્પનાતીત ક્ષેત્રવ્યાપી છે કે તેથી વૈરાગ્ય શતકમાં જણાવવું પડ્યું કે....
પોતાના ભાવને બગડવા ન દે તે વ્યવહારઘર્મ. પોતાના ભાવને જોતાં શીખવે તે આત્મધર્મ.