________________
શ્રી અભિનંદન સ્વામીજી
138
કવિશ્રીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જ્યાં જીવનું દર્શન, મોહના ઉદયથી યુક્ત છે, એટલે કે મિથ્યાત્વમોહનીયના ઉદયથી જે આંધળો છે એટલે અહં અને મમત્વના મદથી ઘેરાયેલો છે-ફસાયેલો છે, તે વિનાશી એવા દેહને વિનાશી તરીકે અને અવિનાશી એવા આત્માને અવિનાશી તરીકે એના યથાર્થ સ્વરૂપમાં જોઈ શકવા જ જ્યાં અસમર્થ છે; ત્યાં પછી વિશ્લેષણ કરીને અવિનાશીને અવિનાશી તરીકે ઓળખીને, વિનાશીમાંથી અવિનાશીતાની બુદ્ધિ હઠાવીને, અવિનાશીમાં અવિનાશીતાની બુદ્ધિનું સ્થાપન કેમ કરીને કરે? દેહમાં તાદાત્મ્ય કરાવનાર કુબુદ્ધિને કાઢીને ભેદજ્ઞાન કરી આધ્યાત્મિક સુબુદ્ધિનું સ્થાપન કેવી રીતે થાય ? અજ્ઞાનતાને હટાવી પોતામાં જ રહેલાં જ્ઞાનને કેવી રીતે બહાર લાવે ? મિથ્યાત્વની રાત્રિના અંધકારમાંથી સમ્યક્ત્વના દિવસના પ્રકાશમાં કેમ કરીને આવે ?
આ ભવ પૂરતા જે પોતીકા છે, એવા સ્વજનના વિયોગે જીવ દુઃખ પામે છે, અને શોક મનાવે છે; પણ આત્મગુણો જે જીવતું, ટીમ્બરપોતાપણું છે, તેનો વિયોગ જીવને ખટકતો નથી. એ તો સાચા મુમુક્ષુ સાધકને જ સાલતા હોય છે અને દુઃખી કરતાં હોય છે? એટલે જ એક સાધક મુમુક્ષુએ લોચ કરાવીને માથુ મુંડાવ્યું ત્યારે સંસાર રસિયા ટીખળીઓએ ટીખળ કરી કે.... “ક્યા સ્વજનનું મૃત્યુ થયું કે જેથી તેં આમ માથું મુંડાવ્યું?” એ સાચા મુમુક્ષુ સાધકે ત્યારે એ ટીખળીયાઓને જડબાતોડ જવાબ આપ્યો કે... “મારા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો મને વિયોગ પડ્યો છે તેથી તેના દુઃખમાં એને પામવા માટે થઈને કેશલોચન કરી માથું મુંડ્યું છે કે જેથી આ કારમા કાળા દુઃખદાયી સંસારનું લોચન-ઉત્થાપન થઈ જાય!'' આવા આત્મદર્શન-દેવદર્શનની તલપની અહીં વાત છે!!!
ક્રિયા કરતાં ભાવ યઢે અને ભાવ કરતાં વિવેક યઢે.