________________
૪૨૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ –
1614 શાસનની તમામ વાતો અહિંસાની સિદ્ધિ માટે:
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘમેરૂની જીવદયારૂપી સુંદર કંદરાઓ (ગુફાઓ)નું વર્ણન કરે છે. એ ગુફાઓમાં કર્મરૂપી શત્રુઓને પરાજય પમાડવા માટે ઉદ્દામ બનેલા અને કુમતવાદીરૂપી હરણિયાઓને ત્રાસ પમાડવામાં સિંહ સમા તપસ્વી મુનિઓ વસે છે. શ્રી જૈનશાસનમાં એક પણ ક્રિયા એવી નથી કે જેમાં જીવદયા ન હોય, જ્યારે બધા કુમતવાદીઓ નામના અહિંસક છે પણ જીવદયાના સિદ્ધાંતોના ઘાતક છે. દયાના નામે અનેક રીતે દયાના સંહારક છે. આ શાસનની તમામ વાતો અહિંસાની સિદ્ધિ માટે છે. અહિંસક ભાવને ખીલવનારી પ્રત્યેક વસ્તુ ધર્મની કોટિમાં છે અને જેમાં અહિંસાની ભાવના નથી તે વસ્તુ ધર્મની નાશક છે. આ શાસનમાં કોઈ ક્રિયા એવી ન હોય કે જેમાં અહિંસકભાવ ખંડિત થાય. કદાચ પ્રવૃત્તિમાં હિંસા હોય તે બને પણ તે સ્વરૂપહિંસા છે. બાકી તો સ્વપરની અહિંસાના ભાવને પોષક એવી જ ક્રિયા આ શાસનમાં વિહિત છે; ને માટે તો જ્ઞાનીને દાનમાં ભેદ પાડવા પડ્યા. એક સુપાત્રદાન અને બીજું અનુકંપાદાન.
જ્યાં હાથ જોડાય ત્યાં પાત્રતા જોવાની. અનુકંપાનું સ્થાન તે પાત્ર નથી. અનુકંપાના સ્થાનમાં પાત્રાપાત્ર કશું જોવાનું નહિ. આ રીતે ન વર્તાય તો ક્રિયાનો હેતુ સફળ ન થાય. પાપથી બચાવે તે પાત્રઃ
અહિંસક ભાવના જાળવવી અને દુનિયામાં રહેવું, ત્યાં ઉચિત પ્રવૃત્તિ જોઈએ જ. દુનિયામાં હિંસાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલુ છે માટે અહિંસક ભાવ સાચવવાની કાર્યવાહી જરૂર જોઈએ. સુપાત્રમાં તો શક્તિ છે, ત્યાં વિનય કરવાનો, હાથ જોડવાના એ બધું છે. “લ્યો, લઈ જાઓ!” એમ જો સુપાત્રને કહ્યું, તો ભક્તિ ન થાય. પણ આશાતના થાય. એમ કરવાથી સુપાત્રદાન ન રહ્યું, લાખનું દાન નિષ્ફળ અને લાભને બદલે હાનિ. શ્રાવક એ સાધર્મિક છે; એને “લે અલ્યા.” એમ કહેવાય ? જો એમ જ કહેવું હોય તો પછી એને સાધર્મિક ન કહો, એક ગરીબ માણસ કહો. જો સુપાત્રે દાન આપ્યાની વાત કરશો તો શાસ્ત્ર કાનપટ્ટી પકડીને પૂછશે કે, “આપતી વખતે હાથ જોડી બહુમાનપૂર્વક ભક્તિ કરી હતી ? “નિસ્તાર કરો !” એમ કહ્યું હતું ?” નોકરને પચાસ આપવા હોય તો “લે, લઈ જા” એમ કહીને આપી દેવાય.પણ સાહેબને પાનનું બીડું પણ આપવું હોય તો ઊભા થઈને માનપૂર્વક આપવું પડે ને ? એમ ન આપો તો એ અપમાન માને. મરજી મુજબ આપવું, ઇચ્છા મુજબ વર્તવું અને સુપાત્રદાનની વાતો કરવી એ ન ચાલે.