________________
૧૮૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1372 સ્નેહીઓ સંબંધીઓ, અને આસપાસનું સર્કલ એવું' વગેરે જાતજાતનાં કારણો આગળ ધરે અને વધુમાં તો પોતાની ભાવના પણ એવી એમ સાથે સાથે કહી દેતા હોય તો સારું. બાકી મારો તો એમને પ્રશ્ન છે કે આ દેશકાળ શું સાત વ્યસનના ત્યાગને બાધક છે ? જરા પણ નહીં. ' સમયધર્મને ઓળખવો એટલે શું ?
આજના સુધારકો કહે છે કે “સમય જોઈને હાલ ધર્મક્રિયાઓ મોકૂફ રાખો;” ત્યારે મહાપુરુષો કહે છે કે-“સમયને જાણનારા આત્મા પાસે પાપક્રિયા માટે એક મિનિટ પણ નથી.” સમયને ઓળખનારો ધર્મને આવતી કાલ પર રાખે જ નહિ કેમકે આવતી કાલે પોતે રહેવાનો છે એવી ખાતરી નથી. સમય કોઈની રાહ જોતો નથી; એ તો જાય છે તે જાય છે જ અને ગયો તે ગયો. સરી જતા સમયમાં જ્યાં પોતાને રહેવાની ખાતરી જ નથી ત્યાં કંઈ આશાના બળે પાપકર્મ સેવાય ? ન જ સેવાય. આ સમયધર્મ ઓળખ્યો કહેવાય. હાલનો સમયધર્મ જુદો છે. એ તો કહે છે કે “હાલ ધર્મક્રિયા મોકૂફ રાખો અને પહેલાં પૈસાટકા મેળવી લો.” આવું બોલનારને સર્વજ્ઞધર્મનું તો ભાન નથી જ પણ સમયધર્મનું પણ ક્યાં ભાન છે ? સર્વજ્ઞધર્મમાં સમયધર્મ આવી જાય છે. સર્વજ્ઞશાસનનો સમયધર્મી આવું તો ન જ કહેઃ
ભગવાન મહાવીરદેવ શ્રી ગૌતમ મહારાજાને ક્ષણ પણ પ્રમાદ ન કરવાનું કહેતા હતા; વારંવાર કહેતા હતા. કેમકે પ્રમાદ એ પાપ છે. વિષય કષાય એ પ્રમાદ છે. મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચે પ્રમાદ છે. એ પ્રમાદ છે માટે એ પાપ છે. વિષય કષાય મેળવવામાં પાપ, એનાં સાધન મેળવવામાં પાપ, એની સામગ્રી વધારવામાં પાપ, એ વધે એવું ભણતર ભણવામાં પાપ, એવી કેળવણી લેવામાં પાપ, એવી કેળવણીના પ્રચારમાં પાપ, એ માટે વિદ્વાન બનવામાં પાપ અને એવા વિદ્વાનોની પ્રશંસા કરવામાં પણ પાપ, ટૂંકમાં જ્યાં પ્રમાદ ત્યાં પાપ. પ્રમાદમાં પડેલા આત્માની ભાવના કઈ હોય ? સર્વજ્ઞદેવે તો ક્ષણ પણ પ્રમાદ ન કરવાનું કહ્યું. કઈ મિનિટે જવું પડે એનો નિશ્ચય નથી ત્યાં પ્રમાદ હોય ? આજના સમયધર્મીઓ કહે છે કે “પહેલાં બેકારી દૂર કરો પછી ધર્મની વાત કરો.' આવા વિચારોથી સર્વજ્ઞધર્મને પડતો મૂકી પાપપ્રવૃત્તિમાં પડી જાય છે. અને એ પડેલી ટેવથી જીવનમાં એ પાપપ્રવૃત્તિ જરૂરી છે એવી મહોર-છાપ મરાવે છે. આવી સાનુકૂળતામાં પણ જે ધર્મ નથી કરતો એ પછી શું કરશે ? બાકી સર્વજ્ઞના શાસનમાં સમય તો જોવાયો જ છે. જો સમય ન જોયો હોત તો ભગવાન