________________
૨૭ : સંઘ મેરૂ જેવો દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 — ૩૨૭ આ ઉપરથી સહેજે સમજી શકાય તેમ છે કે, તત્ત્વોના અર્થોનું જે અવિપરીત શ્રદ્ધાન તેને જ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સમ્યગ્દર્શન કહેવાય છે અને એને જ મોક્ષના પ્રથમ અંગ તરીકે સારરૂપ મનાતું હોવાથી, સૂત્રકારમહર્ષિ તેને શ્રેષ્ઠ વજરત્ન તરીકે ઓળખાવી, શ્રીસંઘરૂપ મંદિરગિરિનું પીઠ બનાવે છે. એવા સમ્યગ્દર્શનને પીઠરૂપ બનાવી, સૂત્રકાર શ્રી ફરમાવે છે કે, આખાએ શ્રીસંઘરૂપ મંદગિરિનો આધાર જ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન ત્યારે જ દૃઢ બને કે, જ્યારે તેને કુદર્શનોની વાસનાથી અલિપ્ત રાખવા માટે શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત બનાવવામાં આવે. પ્રતિસમય વિશુદ્ધ થાય તે રીતે ચિરકાલ સુધી પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તવામાં આવે તો તે સમ્યગ્દર્શન રૂઢ બને છે; તત્ત્વવિષયક રુચિને તીવ્ર બનાવવામાં આવે ત્યારે તે સમ્યગ્દર્શન ગાઢ બને છે; અને તે દ્વારા સારી રીતે બોધ થાય તે રીતે જીવાદિક પદાર્થોમાં પ્રવેશ કરવામાં આવે, ત્યારે તે સમ્યગ્દર્શન અવગાઢ બને છે.
327
આવા દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ એવા સમ્યગ્દર્શન ઉપર પ્રતિષ્ઠિત થયેલો શ્રીસંઘ જ શ્રીમેરૂપર્વતની ઉપમાને પામી શકે છે પણ અન્ય નહિ જ.
આથી એ પણ સ્પષ્ટ થાય છે કે, સમ્યગ્દર્શન એ કોઈ નાનીસૂની કે સામાન્ય કોટિની વસ્તુ નથી જ. એના ઉ૫૨નો હલ્લો એ આખા શાસન ઉ૫૨નો હલ્લો છે અને એ જ કારણે એ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવું જોઈએ; એ જ આ કથનનો ફલિતાર્થ છે.
વાત વાતમાં શ્રદ્ધા ઉપર આક્ષેપ કરનારા, એ વસ્તુતઃ પ્રભુશાસનને સમજ્યા જ નથી, એમ કહેવું એમાં કશી જ અતિશયોક્તિ નથી.
અનંતજ્ઞાનીઓએ પ્રરૂપેલાં તત્ત્વોના અર્થની જેઓને સાચી શ્રદ્ધા નથી, તેઓ જ તત્ત્વની બાબતોમાં મનસ્વી કલ્પનાઓ ઉપર નાચે છે; જીવાદિક તત્ત્વોના વિષયોમાં મનસ્વી કલ્પનાઓ ચલાવવી અને અંતર અવાજ ઉપર જ ભાર મૂકવો, એ મહા મિથ્યાત્વના ઉદયનું પરિણામ છે; અન્યથા એકદમ અને સર્વ પ્રકારે મતિના વિષયમાં ન ઊતરી શકે તેવા પદાર્થોમાં મતિકલ્પનાઓનું અને અંતરઅવાજનું સામ્રાજ્ય સ્થાપવાની ઇચ્છા જન્મે જ નહિ.
જેઓ આજે આ સમ્યગ્દર્શનને દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ બનાવવાનું કામ ભૂલી જઈ, પોતાની જ વાહવાહ કરાવવાના કામમાં રોકાઈ ગયા છે અને સમ્યગ્દર્શનને શોભાવનાર, દીપાવનાર, ખીલવનાર તથા સફળ કરનાર કરણીઓ ઉપર થઈ રહેલા કુટિલ અને કારમા પ્રહારોને જાણે આંધળા, બહેરા