________________
બહારનું સ્વાગત થશે” પણ એનાથી તેઓ ઢીલા ન પડ્યા. હા, સાવચેત જરૂર થયા. વિહાર મુંબઈ તરફ આગળ વધતો ગયો અને મુંબઈમાં હલચલ મચતી ગઈ.
લાલબાગ - ભૂલેશ્વરની જોરાવર ભૂમિમાં પ્રવેશ નક્કી હતો. અટકાવનારા મક્કમ હતા તો પ્રવેશ કરાવનારા એથી વધુ મજબૂત હતા. રસ્તામાં કાચ વેરાયા, માથે કાચની બાટલીઓ નંખાઈ, ‘પાછા જાઓ'ના નારાઓ લગાવાયા, કાળા વાવટા સામે ધર્યા. છેવટ સુધીના મરણીયા પ્રયાસો કર્યા. શાસનપ્રેમીઓએ તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. પૂજ્યો ઉપાશ્રયમાં પ્રવેશે તે પહેલા પ્રવચન હોલ, ખીચોખીચ ભરાઈ ગયો હતો. કોઈક કુતુહલથી આવ્યા હતા. કેટલાક વિરોધ કરવા આવ્યા હતા. કેટલાક ઝઘડવાના મૂડમાં હતા, ભક્તિભાવથી આવનારા તો ખરા જ. પહેલી વખત જેમણે રામવિજયજી મહારાજને જોયા તેમને વિરોધીઓના વ્યુહ ઉપર હસવું આવ્યું. આ તે કેવો દાવ ! કીડી ઉપર કટક લઈ જવું! ફૂંક મારે તો ઉડી જાય તેવી કાયા ધરાવતા આ સાધુ સામે આટલો બધો ઘોંઘાટ ? પણ જેવું મંગલાચરણ થયા પછી પ્રવચન શરૂ થયું ત્યારે જ ખરો અંદાજ આવ્યો. મુનિની તાકાત તનની નથી, મનની અને વચનની છે. પહેલા જ પ્રવચને લોકોમાં વિચાર વંટોળ ઊભો થયો. એક તરફી ઢોલ-નગારાં સાંભળેલાં અને જે માન્યતાઓ બાંધી દીધેલી તેમાં ઘણા ખરા મધ્યસ્થી માણસોને ફેરફાર કરવો જ પડ્યો.
પછી તો પ્રવચનનો પ્રવાહ રોજ માટે અઢી કલાક નિશ્ચિત થઈ ગયો. જે આવે તે ચોટી જાય, ઊભા થવાનું નામ ન લે. જ્યારે ઊભો થાય ત્યારે બીજે દિવસે પાછા આવવાના નિર્ધાર સાથે ઉઠે. ' એ પ્રવચન સભાઓ શાંત ન હતી. રાત-ભરની મહેનત કરીને સભા ડહોળવાના પ્લાન સાથે આવેલા ઘાણી ફૂટે તેમ સવાલો ફેંકતા, સામે સવાલને અનુરૂપ જવાબ મળી જતો. “પીછે મીલના” ની વાત નહિ. હજી તો સવાલ અડધો મોંઢા પર રહી ગયો હોય અને જવાબ હાજર થઈ જતો. જેમાં શાસ્ત્રનાં આધારો હોય, ક્યાંય ઉટપટાંગ ઉત્તર નહિ, સામાને સંતોષ ન થાય ત્યાં સુધી પૂછવાની છૂટ. વિરોધીઓ હાંફી જાય ત્યાં સુધી સવાલો કર્યા કરે પણ કોઈ અકળામણ નહિ. સો સવાલ ગોખીને આવેલાને એક જ જવાબમાં સો સવાલનો ઉકેલ મળી જતો. - શાસ્ત્રોનું પ્રચંડ સમર્થન એવું થતું કે માણસના રૂવાટાં ખડાં થઈ જાય. નદી અને સાગરના પાણી ભેગા થાય એટલે ધમસાણ તો મચે જ. મુંબઈનું વાતાવરણ ગરમ થઈ