________________
આ સમયે એક દશકાથી રાજનગર-અમદાવાદની ભૂમિ ઉપર ‘મુનિ રામવિજયજી’ નામનો તેજસિતારો તેજકિરણો વેરી રહ્યો હતો. એક જબાનના જોરે કેટલાયના ભેજાંમાં ભરાઈ ગયેલા કચરાને દૂર કરવામાં તેઓ સફળ બની રહ્યા હતા. જૈનો તો તેમને સાંભળવા માટે ઉમટી પડતા. પરંતુ હિંદુ-મુસ્લીમ, મૌલવી-ફકિર, પંડિત-પૂજારી વગેરેની પણ ભીડ જામતી. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ તેમની આ રીતની શક્તિથી ખૂબ જ પ્રભાવિત હતા. પોતાનાં કાર્યોમાં તેમનો ઉપયોગ કરવાનો એ લોકોએ પ્રયાસ પણ કરી જોયો હતો. પરંતુ એક જિનશાસનને જ વરેલા એ મુનિએ તેઓને જરાય મચક ન આપી.
શાસનને ઘરમૂળથી નકલી બનાવી દેવાની ઝુંબેશ ચલાવનારા કહેવાતા સુધારકો સામે અપ્રતિમ શક્તિ ધરાવતા મુનિ રામવિજયજી નામના યોદ્ધાને સંઘર્ષમાં આગલી હરોળમાં ઊભા રાખીને જંગ જીતવાનું સકલાગમ રહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજા આદિ શાસનપક્ષીય મહાપુરુષોએ નક્કી કર્યું. રાજનગર ઐતિહાસિક નગરી ખરી. પણ અહીં બેઠા-બેઠા આક્રમણ કરે, તેની ઝાઝી અસર ઊભી ન થાય. એના માટે મુંબઈ જવું પડે. મુંબઈ એટલે મુંબઈ. રાજનગરનો અવાજ ગુજરાતભરમાં ઘૂમરાય, પણ મુંબઈનો પડઘો ભારતભરમાં પડઘાય. તેમાંય સુધારકોએ મુંબઈને પોતાનો ગઢ બનાવ્યો હતો એટલે ગઢમાં જઈને જ એને નેસ્ત નાબુદ કરવો ખરી રણનીતિ કહેવાય. | વિહારનું સઢ-સુકાન ગુજરાતમાંથી મુંબઈના બારા તરફ ફેરવાયું. એના સમાચાર શાસનપ્રેમીઓને મળતાં તેમના ઘરે કંસારના આંધણ મુકાયાં, બેરોકટોક શાસનવિદ્રોહી પ્રવૃત્તિ ચલાવતા વર્ગના પેટમાં કડકડતું તેલ રેડાયું. તેમને ખબર હતી કે નાની અમથી કાયા ધરાવતા રામવિજયજી ફક્ત વાણીના તરંગો દ્વારા જ ગમે તેટલી મોટી સેનાને પલકવારમાં પરાસ્ત કરી શકતા હતા. તેમનો મુંબઈમાં પ્રવેશ થાય તો પોતાના ગઢમાં એવાં ગાબડાં પડે કે એને પૂરી જ ન શકાય. તેઓએ ધમકીનો દોર શરૂ કર્યો. તેમના વડીલો સુધીનાને ડારો આપેલો. ‘ખબરદાર જો આગળ વધ્યા છો તો ? તમારી ધારણા