________________
સંગ્રહ કરનારા પૂર્વર્ષિઓનો અને તે સંગ્રહ જેમાં કર્યો છે તે શાસ્ત્રોનો પણ પરમ ઉપકાર છે. કારણ કે એક બાજુ જીવને ધર્મનો પક્ષ છે. અને ઉદ્યમ કરવા છતાંય તેને આજસુધી સાચું સુખ મળ્યું નથી. બીજી બાજુ તેનો ઉપાયરૂપ ધર્મને ઓળખાવનારા અરિહંતો આજે વિદ્યમાન નથી. આ પરિસ્થિતિમાં પણ અરિહંતના ઉપદેશને જણાવનારાં શાસ્ત્રો જીવને અરિહંત તુલ્ય ઉપકાર કરી શકે છે. આ કારણે જ અતુલ ઉપકારી એવાં તે શાસ્ત્રોને અખંડ અને અબાધિત રાખવા માટે પૂર્વષિઓએ પોતાનાં જીવનો ખર્ચી નાખ્યાં છે. આજે આપણી સામે જે ધર્મશાસ્ત્રો છે, તે એ પૂર્વ મહાપુરુષોના ઉપકારના ફળરૂપ છે. એના આધારે જ આપણે ઈષ્ટ સુખને અને તેના ઉપાયોને ઓળખી શકીએ તથા તે ઉપાયોરૂપ ધર્મની સેવા કરીને સુખ મેળવી શકીએ.
ગ્રંથનું મહત્ત્વ-પ્રસ્તુત ધર્મસંગ્રહ નામક ગ્રંથ એ ઉપકારી શાસ્ત્રો પૈકીનું એક શાસ્ત્ર છે. તેમાં સુખ અને તેના ઉપાયોરૂપ ધર્મની સાચી ઓળખ કરાવી છે અને પ્રત્યેક જીવ સ્વયોગ્યતા અને શક્તિ અનુસાર તે ઉપાયો કરી શકે તેની વ્યવસ્થા સમજાવી છે. ગ્રંથનું યથાર્થ મહત્ત્વ તો કોઈ તેવો વિશિષ્ટ જ્ઞાની જ સમજી શકશે, બીજાઓ તે સ્વ-સ્વબુદ્ધિ અને રુચિને અનુસરીને તેનું મહત્ત્વ ઓછું વધતું આંકશે. કારણ કે-વસ્તુ ગમે તેટલી શ્રેષ્ઠ હોય પણ તેને સમજવાની જેટલી શક્તિ આત્મામાં હોય તેટલી જ તે તેને શ્રેષ્ઠ માની શકે છે. આ એક સામાન્ય નિયમ છે. અને એ જ કારણે જગતમાં હીરાની કિંમત ઝવેરી જ સમજી શકે' એમ મનાય છે. આ અનુભવ સર્વત્ર વર્તે છે, એક જ વસ્તુ એકને અતિ મહત્વની સમજાય છે ત્યારે બીજાને તે સામાન્ય જેવી લાગે છે. એ કારણે આ ગ્રંથનું મહત્ત્વ અને તેનો ઉપકાર વાચક સ્વયં એનો અભ્યાસ કરીને જ સ્વ-સ્વ શક્તિ પ્રમાણે સમજી લેશે. તો પણ ટુંકમાં આ ગ્રંથ એક સંપૂર્ણ ધર્મશાસ્ત્ર છે' એમ કહેવું જરા પણ ખોટું નથી. ગૃહસ્થને અને સાધુને જીવનમાં ઉપકારક નાની મોટી સર્વ વાતોનો તેમાં ઉકેલ છે. તેનું એ કારણ છે કે ગ્રંથ અતિપ્રાચીન ન હોવા છતાં પ્રાચીનતમ વિવિધ શાસ્ત્રોના રહસ્યોનો એક ભંડાર છે.
જૈન દર્શન માન્ય મૂળ આગમો, પંચાંગી, પૂર્વધરોએ રચેલાં વિવિધ શાસ્ત્રો અને પ્રભુ મહાવીરના નિર્વાણ પછી ૨૨૦૦ વર્ષ પર્યત થયેલા અનેકાનેક સમર્થ વિદ્વાન્ મહર્ષિઓ રચિત શાસ્ત્રોનું એમાં દોહન છે. ગ્રન્થકાર પૂ. મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર એવા સમર્થ વિદ્વાનું છે કે છૂટાં મોતીની માળા