________________
ભૂમિકા
सर्वत्र सर्वस्य सदा प्रवृत्तिः, दुःखस्य नाशाय सुखस्य हेतोः । तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ।।१६।। હૃદયપ્રદીપ
આ સંસારમાં સર્વ જીવો દુઃખથી મુક્ત થવા અને સુખને પ્રાપ્ત કરવા ઇચ્છે છે અને તે માટે પ્રયત્નશીલ પણ રહે છે; તો પણ આશ્ચર્યની વાત એ છે કે જગવર્તી કોઈપણ જીવો સંપૂર્ણ દુઃખમુક્ત થતાં નથી અને સંપૂર્ણ સુખ પામતા નથી. આનું કારણ એક જ છે કે તેઓ દુઃખમાંથી મુક્ત થવા મનઘડંત ઉપાયો અજમાવે છે, પણ જ્ઞાનીપુરુષોએ કહેલ દુઃખના મૂળ કારણને શોધી તેનાથી દૂર થવાનો પ્રયત્ન કર્તા નથી.
શાસ્ત્રકારો કહે છે, દુઃખનું મૂળ કારણ છે ભૌતિક સુખનો રાગ અને ભૌતિક દુ:ખનો દ્વેષ. ભૌતિક સુખને મેળવવા સંસારી જીવો હિંસા, જૂઠ આદિ સ્વ-પરને દુઃખદાયી પાપકાર્યો આચરે છે, પરિણામે અનેક કુકર્મો બાંધી દુઃખી થાય છે. આથી જેને દુઃખથી મુક્ત થવું હોય તેણે આ રાગ-દ્વેષના ભાવોને ઘટાડવા જોઈએ. રાગાદિભાવોને ઘટાડી પાપકાર્યોથી પાછા ફરવા માટે જૈનશાસનમાં પ્રતિક્રમણની એક સુંદર ક્રિયા બતાવી છે. ભાવપૂર્વક કરાતી આ ક્રિયા પાપકર્મોને અને પાપ કરાવે તેવા જીવના કુસંસ્કારોને ખતમ કરી, આત્માને નિર્મળ કરે છે. આ કારણથી પ્રતિક્રમણની ક્રિયા એક આધ્યાત્મિક સ્નાનતુલ્ય બની જાય છે.
આરોગ્યશાસ્ત્રની દૃષ્ટિએ યોગ્ય રીતે કરાયેલું શરીરસ્નાન મેલ દૂર કરે છે, શરીરમાં તાજગી પ્રગટાવે છે અને રોગોની સંભાવનાઓ ઘટાડે છે. તેમ ભાવપૂર્વક કરાયેલું પ્રતિક્રમણ આત્મા ઉપર છવાયેલી કર્મ૨જને દૂર કરે છે, સાથોસાથ આત્મામાં નવી જ સ્ફૂર્તિ અને ઊર્જા પ્રગટાવે છે અને ચિત્તમાંથી હિંસા, જૂઠ, છળ, કપટ, નિંદા, રાગ-દ્વેષ આદિ રોગોની સંભાવના ઘટાડે છે.