________________
જગચિંતામણિ સૂત્ર
આ સૂત્ર દ્વારા અષ્ટાપદ પર બિરાજમાન ૨૪ પરમાત્માનાં બિંબોને તથા ઉત્કૃષ્ટ કાળમાં વિચરતાં ૧૭૦ જિનને, ૯ કરોડ કેવળી ભગવંતોને, તેમજ ૯ હજાર કરોડ સાધુ ભગવંતોને વંદના કરવામાં આવી છે. વળી, વર્તમાનમાં વિચરતા વીસ તીર્થકરો, બે કરોડ કેવળીઓ અને ૨ હજાર કરોડ સામાન્ય સાધુ ભગવંતો આદિ સર્વેને વંદના કરવામાં આવી છે. આ સિવાય પણ અનેક તીર્થો તથા તે તે તીર્થસ્થાનમાં રહેલા પરમાત્માઓ અને શાશ્વતી પ્રતિમાઓ આદિને પણ આ સૂત્ર વડે વંદના કરાય છે.
આ સૂત્ર અંગે એવો ઉલ્લેખ મળે છે કે, અષ્ટાપદ તીર્થમાં ભરત મહારાજાએ બનાવેલાં ૨૪ જિનનાં બિંબને જોઈને, તેમનાં દર્શન-વંદન કરી ભાવવિભોર બનેલા શ્રી ગૌતમસ્વામી મહારાજાએ આ સૂત્રની પ્રથમ બે ગાથા રચેલી છે. ગૌતમ મહારાજાને અરિહંતમાં રહેલા અરિહંતપણાનો સમ્યગુ બોધ હતો. તેથી જ ઋષભાદિ ૨૪ જિનના બિંબને જોતાં જ તેમના હૈયામાં રહેલો ભાવ શબ્દોમાં વ્યક્ત થયો. આ શબ્દોના માધ્યમે જેઓ પરમાત્માની ભક્તિ કરે છે, તેઓનું હૈયું પણ ભાવયુક્ત થવાના કારણે અત્યંત નિર્મળ બન્યા વિના રહેતું નથી.
પ્રાતઃકાળે રાઈ-પ્રતિક્રમણની શરૂઆતમાં તથા સંયમી આત્માઓ તેમજ પૌષધધારી આરાધકો વગેરે પચ્ચષ્માણ પારતાં અને આહાર કર્યા બાદ મધ્યાહ્ન સમયે જે ચૈત્યવંદન કરે છે, તેમાં આ સૂત્રનો ઉપયોગ કરે છે. જગતના નાથ, જંગતના રક્ષક, જગતના ભાવોને જાણવામાં વિચક્ષણ વગેરે વિશેષણો દ્વારા સવારે પરમાત્માની સ્તવના કરી હોય તો દિવસ દરમ્યાન એ વાત સ્મૃતિમાં રહે કે, આવા નાથ મારી સાથે છે, આવા ભગવાનનો હું ભક્ત છું; માટે મારે હવે કોઈનો ભય નથી. આવા પરમાત્માનાં વચનોને સ્મરણમાં રાખી, તેને અનુસાર મારે જીવન જીવવાનું છે, તો મારું કલ્યાણ ચોક્કસ છે. આવી ભાવના (માં મન રમમાણ રહે) માટે પ્રાતઃકાળે આ સૂત્રના માધ્યમે પરમાત્માની સ્તવના કરવામાં આવે છે. મધ્યાહ્ન સમયે આહાર લેતાં પહેલાં કે આહાર લીધા પછી પ્રકૃષ્ટ કોટિના અપ્રમત્ત ભાવમાં સ્થિર થયેલા અને અણાહારી ભાવને પામેલા પરમાત્મા આદિની સ્મૃતિ દ્વારા આહાર લેતાં કે આહાર લીધા બાદ વિષયની આસક્તિ કે પ્રમાદભાવને આધીન ન બની જવાય તેવું સત્ત્વ ખીલવવા આ સૂત્રના માધ્યમે ચૈત્યવંદન કરવામાં આવે છે.