________________
૨૦૨
સૂત્રસંવેદના-૨
સંસારના ક્ષેત્રે સારા દ્રવ્યનો ઉપયોગ કરીને સ્વયં તો રાગાદિથી પીડાય છે, પરંતુ અન્યના રાગાદિનું નિમિત્ત પણ બની જાય છે; પરંતુ શ્રાવક જ્યારે ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરે છે, ત્યારે ભગવાન સ્વયં રાગરહિત હોવાથી ભગવાન તરફથી રાગ વૃદ્ધિનું કોઈ કારણ તેને પ્રાપ્ત થતું નથી. પરંતુ ઉત્તમ દ્રવ્યોથી કરાયેલી પરમાત્માની ભક્તિ, રાગાદિ રહિત પરમાત્મા પ્રત્યે વિશેષ પ્રીતિ પ્રગટાવે છે.
પ્રીતિપૂર્વકની આ ભક્તિ જ જીવને પરમાત્માના વિતરાગાદિ ગુણો તરફ લઈ જાય છે. ધીમે ધીમે ઉત્કૃષ્ટ થતી આ ભક્તિ ભવ્યાત્માને સંપૂર્ણ રાગાદિ રહિત વીતરાગ સ્વરૂપ બનાવી દે છે. વીતરાગ બની તે ઉત્તમ આત્મા સર્વ કર્મને ખપાવી મોક્ષમાં જાય છે. મોક્ષમાં જતાં જ તેના તરફથી જગતના જીવ માત્રને અભયની પ્રાપ્તિ થાય છે. હવે તેના તરફથી કોઈ જીવને ભય રહેતો નથી, તેથી સર્વ જીવને પોતાના તરફથી નિર્ભય બનાવવાનો આ ઉત્તમ માર્ગ છે. આથી જ શ્રાવકો માટે સાક્ષાત્ પૂજનાદિ કરવાની ભગવાનની આજ્ઞા છે.
મુનિ ભગવંતો તો દ્રવ્ય વિના પણ ઉત્તમ ભાવો દ્વારા ભક્તિ કરી શકે છે. તેથી તેમના માટે દ્રવ્યભક્તિનું વિધાન નથી, તો પણ ઉપદેશ દ્વારા પ્રેરણા આપવામાં અને કાયોત્સર્ગ દ્વારા અનુમોદના કરવામાં તેમને કોઈ બાધ નથી.
મુનિ ઉપદેશ દ્વારા ભવ્યાત્માઓને પ્રભુ ભક્તિમાં જોડે છે, ત્યારે પણ તેમનો ઉપદેશ આરંભ-સમારંભની અનુમતિનો નથી હોતો, પરંતુ ભગવાનની ભક્તિના ફળના વર્ણન દ્વારા શ્રાવકને ભક્તિની ભાવનામાં પ્રેરણા કરવાનો જ હોય છે. આથી જ ઉપદેશ આપતાં તેઓ ખૂબ જ સાવધાની રાખે છે કે, ક્યાંય તેમની વાણીથી આરંભ-સમારંભની અનુમતિ ન આવી જાય. વળી ભગવદ્ભક્તિ દ્વારા જે ફળ શ્રાવકને અપેક્ષિત છે, તે જ ફળ મુનિને પણ અપેક્ષિત છે, માટે મુનિ શ્રાવકના પૂજનાદિની અનુમોદના કરી શકે છે.
આમ સાધુએ ઉપદેશ આપવો પણ યોગ્ય છે અને પૂજન આદિથી થતા ભાવોની અનુમોદના કરવી પણ યોગ્ય છે. આથી જ તે પૂજન-સત્કારથી થનારા ભાવોની નિષ્પત્તિ=પ્રાપ્તિ માટે અત્યંત ઉચિત એવો કાયોત્સર્ગ કરે છે.
સમાજ-વત્તિયાણ - સન્માન નિમિત્તે (હું કાયોત્સર્ગ કરું છું.)
અરિહંત ચૈત્યોનાં સન્માનથી પ્રાપ્ત થનારાં ફળ મેળવવા માટે હું કાયોત્સર્ગ કરું છું.