________________
વચ્ચે પણ આ લખાણને જોઈ અનેક સ્થળે સૂચનો, સુધારા-વધારા કરાવી લખાણને ક્ષતિરહિત કરવા માટે સારો એવો શ્રમ લીધો છે. પોતાના ઘણાં મોટા કાર્યો વચ્ચે પણ મારા આવા ગ્રંથશોધનનાં નાના કાર્યને સ્વીકાર્યું, તે બદલ તેઓશ્રીના ઉપકારને તો ક્યારેય ભૂલી શકાય તેમ નથી !
નાદુરસ્ત દેહ છતાં તપાગચ્છાધિરાજ પૂજ્યપાદશ્રીના સામ્રાજ્યવર્તી પૂ. સા. શ્રી રોહિતાશ્રીજી મ. ના શિષ્યરત્ના વિદુષી પૂ. સા. શ્રીચંદનબાળાશ્રીજી મ. સાહેબે સાયંત પ્રફ રિડીંગનું કાર્ય કરી આપ્યું છે તથા જરૂરી સૂચનો કર્યા છે. તે બદલ તેમનો પણ આભાર માનું છું.
આ ગ્રંથોના વાંચન-ચિંતન-મનનમાં સૌથી મહત્ત્વની પ્રેરણા અને પીઠબળ મને મારા પૂજ્ય ગુરુદેવ વિદુષીરત્ના પૂ. સા. શ્રીચંદ્રાનનાશ્રીજી મ. સા. તરફથી મળેલ છે. તેઓશ્રીએ માત્ર પ્રેરણા કરી છે, તેમ નહિ પરંતુ તે માટે જોઈતો સમય-સગવડતા અને સતત સહકાર આપી મને ઉત્સાહિત રાખવાનું કાર્ય તેઓશ્રી તરફથી થયેલ છે. તેમનો ઉપકાર તો મારાથી ક્યારેય ભૂલી શકાય તેવો નથી. સાચું કહું તો, આ કાર્ય મારું નથી. સમગ્ર સમુદાયથી સહિયારું થયેલું આ કાર્ય છે. આ કાર્યની પાછળ નાનાનાના સાધ્વીજી ભગવંતોનું પણ અનેક રીતે યોગદાન થયેલું છે.
સૂત્રસંવેદના ભાગ-૧માં હું જણાવી ચૂકી છું કે સૂત્રોના કરાયેલ આ અર્થો સંપૂર્ણ નથી. ઘણા ઘણા અર્થો હજુ આ સૂત્રો અને તેના એક એક પદોના થઈ શકે છે. વિશેષજ્ઞો આવશ્યકનિયુક્તિ, લલિતવિસ્તરાદિ ગ્રંથોના માધ્યમે તેને વિશેષ જાણવાની જિજ્ઞાસા ઊભી રાખે. આમાં જે કોઈ અર્થો કર્યા છે, તેમાં ક્યાંય શાસ્ત્રવિરુદ્ધ અયથાર્થ ન લખાઈ જાય તે માટે શક્ય પ્રયત્ન કર્યો છે. આમ છતાં જ્ઞાનની ઊણપ, અભિવ્યક્તિની અનિપુણતા આદિ કારણે સાવ ક્ષતિમુક્ત આ લખાણ છે તેમ તો હું ન કહી શકું.
શક્ય સર્વ કાળજી રાખવા છતાં અજ્ઞાન, પ્રમાદ કે અભિવ્યક્તિની અણઆવડતના કારણે આમાં શ્રીવીતરાગની આજ્ઞાવિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે માટે હું મિથ્યાદુષ્કૃત માંગુ છું અને અનુભવી બહુશ્રુતોને પ્રાર્થના કરું છું કે તેમની દૃષ્ટિમાં જે કાંઈ ક્ષતિ દેખાય તો વિના સંકોચે મને જણાવે. જેથી બીજી આવૃત્તિની વેળાએ તેના સુધારા શક્ય બને !
જેન મરચન્ટ સોસાયટી, રાજનગર. આ. સુ. ૧૫, વિ. સં. ૨૦૫૯
પરમવિદુષી પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ સા. શ્રીચંદ્રાનનાશ્રીજી મ. સા. ના શિષ્યા
- સા. પ્રશમિતાશ્રીજી