SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ તમોત્યુ ણં સૂત્ર ૯૯ ગાંઠ જેમ સોયને આગળ વધવા દેતી નથી, તેમ આ ગ્રંથિની હાજરીમાં જીવ સત્યતત્ત્વને જોઈ, આત્મિક વિકાસમાં આગળ વધી શકતો નથી. જ્ઞાનશક્તિથી ઈન્દ્રિયોના માધ્યમે પદાર્થના બાહ્ય રૂપ-રંગનું જ્ઞાન પ્રાપ્ત કરે તોપણ તીવ્ર રાગાદિના કારણે તેમાં રહેલી નશ્વરતા, આત્મભિન્નતા અને આત્મા માટે અનુપકારિતા આદિ ધર્મનું જ્ઞાન થઈ શકતું નથી. કોઈકવાર કોઈક મહાપુરુષોના વચનામૃતથી સ્ત્રી, સંપત્તિ આદિ ભૌતિક પદાર્થો નશ્વર છે, આત્માને રાગાદિ ભાવોથી મલિન કરનાર છે, કર્મનો બંધ કરાવી દુર્ગતિમાં લઈ જનાર છે વગેરે વાતો સમજાય છે, કાંઈક શ્રદ્ધા પણ ઉપજે છે, તોપણ ગ્રંથિની હાજરીમાં મિથ્યાત્વના ઉદયકાળમાં આ ભૌતિક સુખ સામગ્રી છોડવા યોગ્ય છે, આત્મા માટે અહિતકર છે તેવું સ્પષ્ટ સંવેદન થતું. નથી. જેમ કે, પાંચ ઇન્દ્રિયના અનુકૂળ વિષયોનો ભોગ આત્મા માટે અહિતકર છે; છતાં મિથ્યાત્વની હાજરીમાં તેનું સુખપ્રદરૂપે જ સંવેદન થાય છે આથી જ શાસ્ત્રીય પરિભાષામાં આ અવસ્થાને અવેદ્ય-સંવેદ્ય પદ6 કહેવાય છે. સાપને જોઈને આ સાપ મારનાર છે તેવું સંવેદનાત્મક જ્ઞાન થતાં જીવ સાપથી ડરે છે, તેનાથી દૂર ભાગે છે. તે જ રીતે સ્ત્રી, સંપત્તિ આદિ હેય પદાર્થોનું હેયરૂપે જ્ઞાન થતાં જો આત્માને તેનાથી દૂર રહેવાની ઈચ્છા થાય, તો કહેવાય કે પદાર્થનું યથાર્થ સંવેદન થયું. પરંતુ સમ્યગ્દર્શનની ગેરહાજરીમાં પાપક્રિયા કે પાપના સાધનભૂત સ્ત્રી, સંપત્તિ આદિમાં “આ મારા રાગનું કર્મબંધનું કે, મારી દુર્ગતિનું કારણ બની શકે તેમ છે.” એવો ભય કે, એવી સંવેદના જીવને થતી નથી. આથી તે હિતકારી વૈરાગ્યાદિ ગુણોની ઉપેક્ષા કરી અહિતકારી સ્ત્રી, સંપત્તિ આદિમાં જ પ્રવૃત્તિ કર્યા કરે છે. આ બધું મિથ્યાત્વનો ઉદય, બોધિની અપ્રાપ્તિ, ગાઢ રાગદ્વેષરૂપી ગ્રંથિની હાજરી કે અવેદ્ય-સંવેદ્ય પદને કારણે જ થાય છે. રૂઢ ઝીણા રેશમી દોરામાં ઘણા સમયથી પડેલી ગાંઠ જેમ રૂઢ થઈ જાય છે, તેમ અનાદિકાળથી વર્તતા રાગાદિના પરિણામો અત્યંત રૂઢ થઈ જાય છે. ગૂઢ અતિઝીણા રેશમના દોરામાં ઘણા સમયની પડેલી ગાંઠ જેમ દેખાતી જ નથી, તેમ જીવમાં મિથ્યાત્વના કારણે થયેલ બુદ્ધિના વિભ્રમથી આ રાગાદિ ભાવો દોષરૂપે દેખાતા નથી અને એ દોષરૂપ ભાવો ક્યાંથી ઊઠે છે, કયા નિમિત્તે પ્રગટ થાય છે અને આત્માનું કઈ રીતે અહિત કરે છે, તે સમજાતું જ નથી. અવેદ્ય-સંવેદ્ય પદ - જે વસ્તુનું જ સ્વરૂપે સંવેદન થવું જોઈએ, તે રૂપે સંવેદન ન થતાં જુદા સ્વરૂપે સંવેદન થાય, તે અવેદ્યસંવેદ્ય પદ છે. મિથ્યાત્વની હાજરીમાં તેની અચૂક હાજરી હોય છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં તે નાશ પામે છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy